મોદીને PM બનવું હોય તો વિશ્વાસ બનાવવો પડશે: ઉદ્ધવ ઠાકરે
મુંબઇ, 13 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપને લઇને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં તેમણે જણાવ્યું છે કે ભાજપમાં આત્મવિશ્વાસની ઊણપ છે. તેમણે જણાવ્યું કે આ કારણે ભાજપના ઘણા સહયોગીઓ તેમનો સાથ છોડીને ચાલ્યા ગયા.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે જો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવું હોય તો વિશ્વાસ બનાવવો પડશે. તેમણે ઇશારામાં એવું કહેવાની કોશીશ કરી કે જ્યારે ભાજપમાં શિવસેના જેવા ગઠબંધન પહેલાથી જ છે તો રાજ ઠાકરેની એમએનએસની શું જરૂરીયાત છે. તેમણે એ પણ જણાવ્યું કે શિવસેના હિન્દુત્વનો મુદ્દો છોડશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા ભાજપના મનસેથી નીકટતાના પગલે ભગવા ગઠબંધનમાં તિરાડ પડવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. ત્યાર બાદ મોદીએ ઉદ્ધવને ફોન કરીને ચર્ચા કરી હતી. જોકે ભાજપના વરિષ્ઠ નેતા નિતિન ગડકરીની મનસે અધ્યક્ષ રાજ ઠાકરે સાથે મુલાકાતને લઇને શિવસેના નારાજ હતી.
જોકે બાદમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરે કે સેનાના એક કાર્યક્રમમાં એવી જાહેરાત કરી દીધી કે આપણે ભાજપને સમર્થન કરી રહ્યા છીએ અને જ્યાથી ભાજપના ઉમેદવાર ઊભા છે ત્યા મનસે પોતાનો ઉમેદવાર ઊભો કરશે નહીં તેમજ મનસેના જે પણ ઉમેદવાર ચૂંટાઇને આવશે તે મોદીને વડાપ્રધાન બનાવવા માટે સમર્થન કરશે.