મોદી સાથે મિત્રતા બદલ મુકેશ અંબાણીને IMની ધમકી
અંગ્રેજી સમાચાર પત્ર મુંબઇ મિરરના અહેવાલ અનુસાર, મુંબઇ પોલીસે આ મામલે તત્કાળ તપાસના આદેશ આપ્યા છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે એક અજાણી વ્યક્તિએ નરીમાન પોઇન્ટ સ્થિત અંબાણીના મેકર ચેમ્બર્સ ઓફિસે પર્સનલ સ્ટાફને આ પત્ર આપ્યો. રવિવારે બપોરે આ પત્ર અંબાણીની ઓફિસે ડિલીવર કરવામાં આવ્યો. આ પત્ર અંગ્રેજીમાં સાદા કાગળ પર હાથેથી લખવામાં આવ્યો અને અને માનવામાં આવી રહ્યું છે કે તેને ઇન્ડિન મુજાહિદ્દીન(આઇએમ)ના જ કોઇ સભ્યએ લખ્યો છે.
પત્રમાં એક ઇન્ડિયન મુજાહિદ્દીન ઓપરેટિવ દાનિશને છોડી મુકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ધમકી આપવામાં આવી છે કે જો દાનિશને છોડી મુકવામાં નહીં આવે તો દેશની સૌથી ધનિક વ્યક્તિને તેનું નુક્સાન પહોંચશે. તેમાં માત્ર ધમકીઓ જ આપવામાં નથી આવી પરંતુ ગુજરાતમાં રોકાણ કરવા અંગેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે મોદીને સપોર્ટ કરીને અંબાણી અલ્પસંખ્યકોની ભાવનાઓને ઠેશ પહોંચાડી રહ્યાં છે. તેમાં અંબાણી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના દક્ષિણ મુંબઇ સ્થિત અલ્ટામાઉન્ટ રોડવાળા ઘરની જમીન ખરેખર વક્ફ બોર્ડની છે, જેને તેમણે પચાવી પાડી છે.
રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ જે એક નિવૃત કર્નલ છે અને કંપનીના સિક્યુરિટી એડવાઇઝર પણ છે, તેઓ તુરત પોલીસ કમિશનર સત્યપાલ સિંહ પાસે ગયા અને મામલાની વિગતવાર માહિતી આપી. સત્યપાલ સિંહએ અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું, ' રિલાયન્સના કેટલાક લોકો મને આ બાબતે મળ્યા છે. અમે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.' ત્યાર બાદ આ મામલો મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે, અંબાણી પાસે એ દિવસના સીસીટીવી ફૂટેઝની માંગ કરવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, આ દાનિશ દરભંગાના ચકજોરા ગામનો મોહમ્મદ દાનિશ અંસારી પણ હોઇ શકે છે જેની 2009માં ભટકલ ભાઇઓને આસરો આપવાના ગુન્હામાં એનઆઇએએ ધરપકડ કરી હતી.