PMની થાઇલેન્ડ મુલાકાત : ભારત થાઇલેન્ડ વચ્ચે ગુનેગારોના સોંપણી કરાર

ગુરુવારે આ સમજૂતી પર વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ અને થાઈ નાયબ વડા પ્રધાન તથા વિદેશ પ્રધાન સુરાપોંગ તોવીચાકચાઈકુલે હસ્તાક્ષર કર્યા હતા. તે વખતે વડા પ્રધાન મનમોહન સિંહ અને થાઈલેન્ડનાં મહિલા વડા પ્રધાન યિન્ગલુક શિનાવાત્રા હાજર હતાં. મનમોહન સિંહ થાઈલેન્ડની બે દિવસની યાત્રા માટે ગુરુવારે બેંગકોક આવી પહોંચ્યા હતા.
આ કરાર અંતર્ગત ત્રાસવાદી કૃત્યોમાં, ટ્રાન્સનેશનલ ગુનાઓ અને આર્થિક ગુનાઓમાં સંડોવાયેલાઓ સહિત ભાગેડૂ જાહેર કરાયેલા ગુનેગારોની સોંપણી કરવા માટેના કાનૂની માળખાની આ સમજૂતીમાં જોગવાઈ કરવામાં આવી છે. બંનેમાંથી જે કોઈ દેશમાં કાનૂની કાર્યવાહી માટે વોન્ટેડ જાહેર કરાયેલી વ્યક્તિ એકબીજાના દેશમાં હોય તો તેની સોંપણી કરી દેવાની આ સમજૂતીમાં જોગવાઈ છે. આ સમજૂતી બંને દેશને ફરાર ગુનેગારોની સોંપણીની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થશે.
આ સમજૂતીને લીધે બંને દેશના પોલીસ તંત્ર વચ્ચેના સંબંધો પણ વધારે મજબૂત થશે. તેઓ એકબીજાને દ્વિપક્ષી સહકાર માટે કાનૂની આધાર પૂરો પાડશે. થાઈલેન્ડ ઘણા અન્ડરવર્લ્ડ ડોન અને ગેરકાયદેસર જૂથો/સંગઠનોના નેતાઓનું લાંબા સમયથી આશ્રયસ્થાન ગણાતું આવ્યું છે.












Click it and Unblock the Notifications
