ભારત કોરોના અપડેટ - છેલ્લા 24 કલાકમાં 41,965 કેસ નોંધાયા, 33,964 ડિસ્ચાર્જ
નવા આંકડા જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 41,965 નવા કેસ નોંધાયા છે, જ્યારે 460 દર્દીઓના મોત થયા છે.
નવી દિલ્હી : કોરોના વાયરસના દૈનિક કેસમાં મંગળવારના રોજ થોડો ઘટાડો થયા બાદ બુધવારના રોજ કોરોના સંક્રમણના કેસમાં ફરી એકવાર વધારો થયો છે.
નવા આંકડા જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 41,965 નવા કેસ નોંધાયા છે, જ્યારે 460 દર્દીઓના મોત થયા છે. આ સિવાય, બુધવારના રોજ કોરોનાના દૈનિક કેસની સરખામણીમાં, સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ફરી એકવાર ઘટાડો થયો છે. 24 કલાકની અંદર માત્ર 33,964 દર્દીઓ રિકવર થયા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દૈનિક કેસની સરખામણીમાં, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની રિકવરીમાં ઘટાડો થવાને કારણે સક્રિય કેસ વધીને 3,78,181 થઈ ગયા છે. આ નવા આંકડાઓ સાથે દેશમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા હવે 3,28,10,845 છે અને સ્વસ્થ દર્દીઓની સંખ્યા 3,19,93,644 છે. આ સિવાય અત્યાર સુધીમાં 4,39,020 લોકોએ કોરોનાને કારણે જીવ પણ ગુમાવ્યો છે.
કેરળમાં કોરોનાની ગતિ યથાવત
કોરોના વાયરસના દૈનિક કેસ અને મૃત્યુના સંદર્ભમાં કેરળ સૌથી મોટી ચિંતા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 41,965 નવા કેસોમાંથી 30,203 કેસ માત્ર કેરળમાં નોંધાયા છે. આ સિવાય કેરળમાં 460 મૃત્યુમાંથી 115 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે તાજેતરમાં રિપોર્ટ અને વેક્સીનેશન અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
એક દિવસમાં 1.33 કરોડ લોકોને અપાઇ રસી
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસ રોગચાળા સામે રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં રસીના કુલ 65,41,13,508 ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, જેમાંથી 1,33,18,718 ડોઝ છેલ્લા એક દિવસમાં આપવામાં આવ્યા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રિપોર્ટની વિગતો જાહેર કરતા કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 52,31,84,293 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે, જેમાંથી 16,06,785 પરીક્ષણો છેલ્લા એક દિવસમાં કરવામાં આવ્યા હતા.