Corona Outbreak In China: ભારતે ચીન તરફ લંબાવ્યો મદદનો હાથ, દવા મોકલવા માટે તૈયાર
ભારતે ચીન તરફ મદદનો હાથ લંબાવ્યો છે અને દવા મોકલવા માટે તૈયારી બતાવી છે.
Corona Outbreak In China: ચીનમાં કોરોનાની ગંભીર સ્થિતિ દુનિયાભરમાં ચિંતાનુ કારણ બની ગઈ છે. વિશ્વભરના દેશો એલર્ટ મોડમાં આવી ગયા છે. ચીનમાં લાખોની સંખ્યામાં વધી રહેલા કોરોના કેસોના કારણે હૉસ્પિટલોમાં બેડ અને દવાઓની કમી સર્જાઈ છે ત્યારે ભારતે ચીનની આ કપરી સ્થિતિમાં મદદનો હાથ લંબાવ્યો છે અને કહ્યુ છે કે અમે ચીનમાં અમુક દવાઓ નિકાસ કરવા માટે તૈયાર છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે ભારત વિશ્વમાં જેનરિક દવાઓનો સૌથી મોટો ઉત્પાદક છે, અમે ચીનને મદદ કરવા તૈયાર છીએ. ચીનમાં કોરોનાના કડક લૉકડાઉનના વિરોધમાં ઘણા દિવસોથી દેખાવો ચાલી રહ્યા હતા ત્યારબાદ ચીને લોકડાઉનમાં રાહત આપી અને તે પછી જ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે ચીનમાં દવાઓની માંગ ઘણી વધી ગઈ છે. આ સાથે ટેસ્ટીંગ કીટની માંગ પણ વધી છે. વધતી માંગને કારણે મેડિકલ સ્ટોર્સ પર તેનુ વેચાણ મર્યાદિત કરવામાં આવ્યુ છે, હવે ગ્રાહક માત્ર એક જ દવા અને કીટ ખરીદી શકશે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વના ટોચના દવા ઉત્પાદકોમાંનો એક છે. ચીનમાં કોરોનાના ઓમિક્રૉન BF7 વેરિઅન્ટ વચ્ચે ભારતે મદદની ખાતરી આપી છે.
ચીનમાં કોણ શું ખરીદી શકે તેના પર નિયંત્રણો લાગી રહ્યા છે. રિપોર્ટ મુજબ એક વ્યક્તિ માત્ર એક જ પ્રકારની દવા ખરીદી શકે છે, તે પ્રવાહી અથવા ટેબ્લેટ ગમે તે એક જ ખરીદી શકે છે. ફ્લૂના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી સામાન્ય દવાની પણ ચીનમાં અછત સર્જાઈ છે. નોંધનીય છે કે બર્લિન પહેલાથી જ બાયોએનટેક કોવિડ રસી ચીનમાં મોકલી ચૂક્યુ છે. જર્મન સરકારના પ્રવક્તાએ બુધવારે કહ્યુ કે પ્રથમ વિદેશી રસી ચીનમાં પહોંચી રહી છે.
ચીનમાં તાવ માટે સામાન્ય દવાઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ચીનમાં આઇબુપ્રોફેન, પેરાસિટામોલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ચેરપર્સન સાહિલ મુંજાલે જણાવ્યુ હતુ કે આ બે દવાઓની પૂછપરછ ચીનથી અમારી પાસે આવી રહી છે. હાલમાં ચીનમાં આ બંને દવાઓની અછત છે. ચીનમાં તેની માંગ ઘણી વધી ગઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે અમે ચીનની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. અમે હંમેશા ફાર્મસીના ક્ષેત્રમાં વિશ્વને મદદ કરી છે. જો કે, દિલ્લી સ્થિત ચીની દૂતાવાસ તરફથી હજુ સુધી આ અંગે કંઈ કહેવામાં આવ્યુ નથી.
તમને જણાવી દઈએ કે ચીનમાં ભારતની ફાર્મા નિકાસ માત્ર 1.4 ટકા છે. ભારતની મોટાભાગની દવાઓ અમેરિકામાં નિકાસ થાય છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને ચિંતિત છીએ. ચીનમાં રસીકરણનો દર ઘણો ઓછો છે, મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી નથી, જેના કારણે ચીનમાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે.