LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું?
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારત સરકારે દેશમાં રાંધણ ગેસનો પુરવઠો જાળવી રાખવા કમર કસી છે. હાલમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી, છતાં તકેદારીના ભાગરૂપે પુરવઠા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓને રેસ્ટોરન્ટ એસોસિએશન્સ સાથે સીધી વાતચીત કરવા અને કોમર્શિયલ ગેસની જરૂરિયાતો સમજવા આદેશ અપાયા છે. આ માટે IOC, HPCL અને BPCL ના ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ સમિતિ પણ બનાવાઈ છે.

સરકારની આ નવી સમિતિ રેસ્ટોરન્ટ ઉદ્યોગની ફરિયાદો સાંભળીને વાસ્તવિક જરૂરિયાત મુજબ ગેસની ફાળવણી કરશે. હાલના વૈશ્વિક સંજોગોને ધ્યાનમાં રાખીને સરકારે ઘરેલુ રસોઈ ગેસના પુરવઠાને પ્રથમ પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે.
દેશમાં તાજેતરમાં LPG ના ઉત્પાદનમાં 10% જેટલો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સરકાર દ્વારા વિવિધ વૈશ્વિક સ્ત્રોતો પર નિર્ભરતા વધારીને ગેસનો નવો જથ્થો મંગાવવાની પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે.
પેટ્રોલિયમ મંત્રાલયે રિફાઇનરીઓને હાઇડ્રોકાર્બનનો પ્રવાહ LPG ઉત્પાદન તરફ વાળવા સૂચના આપી છે. આ વધારાના ઉત્પાદનનો ઉપયોગ ખાસ કરીને ઘરેલુ ગ્રાહકોની જરૂરિયાતોને સમયસર પૂરી કરવા માટે કરવામાં આવશે તેવું નક્કી કરાયું છે.
ઉર્જા સુરક્ષાના ભાગરૂપે સરકારે વિવિધ ક્ષેત્રો માટે ગેસના પુરવઠાની અગ્રતા નક્કી કરી દીધી છે. જે મુજબ ઘરેલુ પાઈપ્ડ ગેસ અને ટ્રાન્સપોર્ટ માટે વપરાતા CNG ને 100% સુધી ગેસ પૂરો પાડવામાં આવશે.
ખાતર ઉદ્યોગ માટે 70% જ્યારે ચા ઉદ્યોગ અને અન્ય ઉત્પાદક એકમો માટે 80% ગેસ પુરવઠો સુનિશ્ચિત કરાયો છે. આ પગલાથી ઔદ્યોગિક અને ખેતી વિષયક પ્રવૃત્તિઓ પર પ્રતિકૂળ અસર નહીં પડે તેની તકેદારી લેવાઈ છે.
સરકારે તેલ રિફાઇનરીઓને પણ પોતાની ગેસની વપરાશ મર્યાદિત રાખવા માટે કડક નિર્દેશો જારી કર્યા છે. રિફાઇનરીઓએ હવે છેલ્લા છ મહિનાની સરેરાશના માત્ર 65% ગેસનો જ વપરાશ કરવાનો રહેશે જેથી જનતાને તકલીફ ન પડે.
કેન્દ્ર સરકારે તમામ કંપનીઓને ઉત્પાદન, આયાત અને સ્ટોકની સંપૂર્ણ માહિતી નિયમિતપણે આપવા જણાવ્યું છે. ભારતનો 70% ક્રૂડ ઓઇલનો પુરવઠો સુરક્ષિત સ્ત્રોતોમાંથી આવતો હોવાથી કોઈ ગભરાટની જરૂર નથી તેવું સરકારે સ્પષ્ટ કર્યું છે.
ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ છતાં ભારતીય રિફાઇનરીઓ અત્યારે પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત હોવાનું જણાવાયું છે. પરિસ્થિતિ હાલ સંપૂર્ણપણે સામાન્ય છે અને તેલ કે ગેસની અછત સર્જાય તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી.
ગેસની સંગ્રહખોરી અને કાળાબજાર અટકાવવા માટે 25 દિવસનો 'ઇન્ટર-બુકિંગ પીરિયડ' પણ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ ગ્રાહકો એક સિલિન્ડર લીધાના 25 દિવસ પછી જ બીજું સિલિન્ડર બુક કરાવી શકશે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગમે તેવા વૈશ્વિક સંજોગોમાં પણ સામાન્ય માણસના રસોડા સુધી ગેસ પહોંચતો રાખવાનો છે. આ નીતિગત ફેરફારોથી આગામી સમયમાં ગેસ વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને ઝડપી બનશે તેવી આશા છે.












Click it and Unblock the Notifications
