પાકિસ્તાનના ઈશારે OICએ આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે સંભળાવી ખરીખોટી
પાકિસ્તાનના ઈશારે ઈસ્લામિક સહયોગ સંગઠન(ઓઆઈસી) દ્વારા જમ્મુ-કાશ્મીરને લઈને કરવામાં આવેલી ટીપ્પણીને ભારતે ગુરુવારે ધરમૂળથી ફગાવી દીધી
નવી દિલ્લીઃ પાકિસ્તાનના ઈશારે ઈસ્લામિક સહયોગ સંગઠન(ઓઆઈસી) દ્વારા જમ્મુ-કાશ્મીરને લઈને કરવામાં આવેલી ટીપ્પણીને ભારતે ગુરુવારે ધરમૂળથી ફગાવી દીધી તથા સલાહ આપી કે તેને ભારતના અવિભાજ્ય અંગ વિશે કંઈ પણ કહેવાનો કોઈ હક નથી. કાશ્મીરથી અનુચ્છેદ 370ને હટાવવાના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે ઓઆઈસીએ નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે 5 ઓગસ્ટ, 2019ના રોજ કાશ્મીરમાં ઉઠાવવામાં આવેલા પગલા એકતરફી હતા.
જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને પાછો લેવાની બીજી વર્ષગાંઠ પર ઓઆઈસીના મહાસચિવાલય દ્વારા જાહેર કરાયેલ નિવેદન પર વિદેશ મંત્રાલયે આકરી ટીપ્પણી કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ અહીં મીડિયાના સવાલ પર કહ્યુ કે અમે ઓઆઈસીના મહાસચિવ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર વિશે કરવામાં આવેલ વધુ એક અસ્વીકાર્ય ઉલ્લેખને ધરમૂળથી ફગાવી દઈએ છીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરથી સંબંધિત મામલામાં ઓઆઈસીના હસ્તક્ષેપનો અધિકાર નથી જે ભારતનુ અભિન્ન અંગ છે.
ભારતે કહ્યુ કે ઓઆઈસી મહાસચિવાલયે ભારતના આંતરિક બાબતોમાં ટિપ્પણી કરીને અંગત સ્વાર્થો માટે પોતાના મંચનો ફાયદો ઉઠાવવાની અનુમતિ આપવાનુ ટાળવુ જોઈએ. કાશ્મીર મુદ્દે ઘણી વાર ઓઆઈસીએ ભારત સામે નિવેદન આપ્યુ છે. 25 સપ્ટેમ્બર 1969માં બનેલા આ સંગઠનનુ પાકિસ્તાન સંસ્થાપક સભ્ય છે. પાકિસ્તાન આ સંગઠનનો સહારો લઈને કાશ્મીર મુદ્દો સમયે-સમયે ઉઠાવતો રહે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા ઓઆઈસીના મહાસચિવ કાર્યાલયે ભારત પર કાશ્મીરમાં જનસાંખ્યિકીને પરિવર્તિત કરવાનો આરોપ પણ લગાવ્યો. ઓઆઈસીએ કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અનુસાર કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટેના પ્રયાસોને વધારવાનો પણ આગ્રહ કર્યો. નિવેદનમાં મહાસચિવાલયે આ બધા પગલાંને રદ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રએ અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યના દરજ્જાને પાંચ ઓગસ્ટ 2019ના રોજ રદ કરી દીધો હતો. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધા હતા.