દેશ 1991 જેવી આર્થિક કટોકટીમાં નહીં મૂકાય :વડાપ્રધાન
નવી દિલ્હી, 17 ઓગસ્ટ : ભારતમાં વર્ષ 1991ના જેવી બેલેન્સ ઓફ પેમેન્ટ્સની કટોકટી ફરી પેદા થશે એવી શક્યતાને વડા પ્રધાન મનમોહન સિંહે આજે નકારી કાઢી છે. રાજધાની દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને આયોજિત એક નાનકડા સમારંભમાં ભારતીય રીઝર્વ બેન્કના ઈતિહાસના ચોથા વોલ્યૂમ ‘આરબીઆઈ હિસ્ટરી - લૂકિંગ બેક એન્ડ લૂકિંગ અહેડ'ના વિમોચન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વડાપ્રધાન મનમોહન સિંહે આમ જણાવ્યું હતું.
વાતચીતમાં મનમોહન સિંહે કહ્યું કે "દેશ 1991ની આર્થિક કટોકટીના કાળમાં પાછો ધકેલાશે એવો કોઈ સવાલ જ પેદા થતો નથી. એ વખતે ભારતમાં ફોરેન એક્સચેન્જ ફિક્સ્ડ રેટનું હતું. હવે એ માર્કેટ સાથે સંકળાયેલું છે. આપણે માત્ર રૂપિયાની નબળાઈને સુધારવાની છે.
પીએમ એ એમ પણ કહ્યું કે 1991માં દેશ પાસે માત્ર 15 દિવસ સુધી ચાલે એટલું જ ફોરેન એક્સચેન્જ બચ્યું હતું. આજે આપણી પાસે છ થી સાથ મહિનાનું રીઝર્વ ઉપલબ્ધ છે. તેથી ત્યારની અને હાલની સ્થિતિ વચ્ચે સરખામણી કરી શકાય નહીં. 1991ની કટોકટીમાં દેશ પાછો ધકેલાઈ જશે એવો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. મનમોહન સિંહે કહ્યું કે 1991માં આપણે સોનું ગિરવે મૂકવું પડ્યું હતું અને દેશને આર્થિક વૈશ્વિકીકરણના માર્ગે જવા માટેના સુધારા અપનાવવાની ફરજ પડી હતી.