India Weather update : આઠ રાજ્યોમાં પૂરનો પ્રકોપ, 44 લોકોના મોત
India Weather update : મુસળધાર વરસાદ અને પૂરના પ્રકોપમાં ઉત્તર ભારતના 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભારે તારાજી મચી છે. હિમાચલ, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીની તમામ મોટી નદી પૂરગ્રસ્ત છે. ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં વિભિન્ન રાજ્યોમાં 44 લોકોના મોત થયા છે. હિમાચલમાં સૌથી વધુ 20 લોકોના મોત થયા છે, તો ઉત્તર પ્રદેશમાં 8 લોકોના મોત થયા છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે સહિત 900થી વધુ રસ્તાઓ બંધ છે. હજારો લોકો રસ્તા પર ફસાયેલા છે. દિલ્હીમાં પણ સોમવારના રોજ યમુનાએ ખતરાના નિશાનને પાર કરી લીધું હતું. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથેની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અસરગ્રસ્તોને મદદ કરવા માટે જરૂરી તમામ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાને હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી સાથે વાત કર્યા બાદ તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે મંગળવારથી હિમાચલમાં ભારે વરસાદના સ્પેલમાંથી થોડી રાહતની આગાહી કરી છે.
અસરગ્રસ્ત રાજ્યોમાં NDRFની 39 ટીમો તૈનાત કરવામાં આવી છે. પંજાબમાં 14, હિમાચલમાં 12, ઉત્તરાખંડમાં 8 અને હરિયાણામાં 5 ટીમો છે. આવા સમયે રાજસ્થાનમાં સિરોહી, અજમેર, પાલી અને કરૌલી સહિત 14 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો હતો, જેમાં માઉન્ટ આબુમાં સૌથી વધુ 231 મીમી વરસાદ નોંધાયો હતો.
હિમાચલમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં કુલ 59 લોકોના મોત થયા છે અને 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. રાજ્યના કુલુ-મનાલી, મંડી અને ઉપલા વિસ્તારોમાં હજારો લોકો ફસાયેલા છે. મોટાભાગના જિલ્લાઓમાં વીજળી, ફોન અને ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે.
કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે 100 વીઘા જમીન કોતરમાં ફેરવાઈ ગઈ હતી. મનાલીમાં અનેક વાહનો ધોવાઈ ગયા હતા. મંડીમાં બિયાસ નદીમાં ઉછાળો છે. 113 મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 828 થી વધુ રસ્તાઓ હજુ પણ બંધ છે. ટ્રેન અને હવાઈ સેવાઓ ઠપ થઈ ગઈ છે. 403 બસો વિવિધ સ્થળોએ અટવાઈ છે. હિમાચલ હાઈકોર્ટ માટે સોમવાર-મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. ડોકટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. શ્રીખંડ મહાદેવની પવિત્ર યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે.
પંજાબમાં પૂરની સ્થિતિને કારણે પાંચ જિલ્લાના 50 ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. લોકોને ગુરુદ્વારામાં રાખવામાં આવ્યા છે. સતલજ નદીનું પાણી જલંધરની ફિલૌર પોલીસ એકેડમીમાં પ્રવેશ્યું છે. ચંદીગઢમાં ત્રણ દિવસમાં 450 મીમી વરસાદ નોંધાયો છે. મોહાલી અને પટિયાલામાં સેના તૈનાત કરવામાં આવી છે.
ફતેહગઢ સાહિબની કોલેજમાં પાણી ભરાવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ ફસાયા હતા, જેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. NDRFની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. 17 ટ્રેનો રદ કરવામાં આવી હતી. દિલ્હી-ચંદીગઢ નેશનલ હાઈવે 1 બંધ કરી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં યમુનાનું પાણી 205.88 મીટરના ખતરાના નિશાનને પાર કરી ગયું છે. યમુના કિનારે આવેલા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. મંગળવાર સુધીમાં પાણીનું સ્તર 206.65 મીટરને પાર થવાની સંભાવના છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અધિકારીઓને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. ભારે વરસાદને જોતા મંગળવારના રોજ દિલ્હીની પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. આ સિવાય MCDની તમામ શાળાઓ પણ બંધ રહેશે.
વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે સહિત 100થી વધુ રસ્તાઓ બંધ છે. તમામ મોટી નદીઓમાં પૂરના કારણે પાણીના સ્તરમાં વધારો નોંધાયો છે. હરિદ્વારમાં ગંગા ખતરાના નિશાનની નજીક વહી રહી છે.
સ્પીતિ ખીણના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, તેઓએ તેમના જીવનમાં પહેલીવાર છેલ્લા ત્રણ દિવસમાં સતત આટલો વરસાદ જોયો છે.
સ્પીતિ ઘાટીમાં બહુ ઓછો વરસાદ થયો છે, પરંતુ આ વખતે એટલો વરસાદ થયો છે કે, ઘણા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદે હિમાચલ પ્રદેશમાં ઘણા જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. લાહૌલ સ્પીતિ જિલ્લામાં આ દિવસોમાં હિમવર્ષા એક અસામાન્ય ઘટના છે. લાહૌલ સ્પીતિ જિલ્લામાં છેલ્લા 74 વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે.












Click it and Unblock the Notifications
