નેઝલ વેક્સીનને ભારત સરકારની મંજૂરી, આજથી CoWIN APP પર ઉપલબ્ધ
અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે નેઝલ વેક્સીનને લીલી ઝંડી આપી દીધી છે.
Coronavirus Nasal Vaccine: ચીનમાં મહાવિસ્ફોટ બાદ કોરોના વાયરસ એક વાર ફરીથી દસ્તક દઈ રહ્યો છે ત્યારે ભારત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે નેઝલ વેક્સીનને લીલી ઝંડી આપી દીધી છે. આ નેઝલ વેક્સીનનો ઉપયોગ હેટ્રોલોગસ બૂસ્ટર તરીકે કરવામાં આવશે. સૌ પ્રથમ ખાનગી હૉસ્પિટલોમાં આપવામાં આવશે. આજથી જ આ નાકની રસીને કોવિડ રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવશે.

આ નેઝલ વેક્સીન ભારત બાયોટેકે તૈયાર કરી છે જેને કોવિન એપ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોવિન એપ પર પહેલેથી જ ઘણી રસી ઉપલબ્ધ છે પરંતુ ભારત બાયોટેકની આ પ્રથમ નેઝલ વેક્સીન છે જે લોકોને આપવામાં આવશે. આ રસી લગાવવા માટે ઈન્જેક્શનની જરૂર નથી, તે નાકમાં સ્પ્રે દ્વારા આપવામાં આવે છે. ભારતમાં આ પ્રથમ બુસ્ટર રસી છે જે લોકોને નાકમાં સ્પ્રે દ્વારા આપવામાં આવશે. આને 18 વર્ષથી ઉપરના લોકોને આપી શકાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે નેઝલ વેક્સીન કોવિન એપ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નેઝલ વેક્સીનના માત્ર એક ટીપાથી તમે કોરોનાથી સુરક્ષિત રહી શકશો. તમને જણાવી દઈએ કે કોવિન એપ પર ભારત બાયોટેકની કોવેક્સિન, સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને કોવેક્સ, રશિયાની સ્પુતનિક વી અને બાયોલોજિકલ ઈ લિમિટેડની કોર્બિવેક્સ વેક્સીનનો વિકલ્પ ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અગાઉ સંસદમાં જણાવ્યુ હતુ કે છેલ્લા ત્રણ વર્ષમાં વાયરસની સતત બદલાતી પ્રકૃતિએ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કર્યો છે, જે લગભગ દરેક દેશને અસર કરે છે. છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં ભારતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં દરરોજ સરેરાશ 153 કોરોના કેસ સામે આવી રહ્યા છે. જ્યારે સમગ્ર વિશ્વમાં દરરોજ 5.87 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. જાપાન, દક્ષિણ કોરિયા, યુએસએ, ફ્રાન્સ, ગ્રીસ, ઇટાલી જેવા દેશોમાં કોરોનાના કેસ અને તેના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે ભારત સરકારે નેશનલ હેલ્થ મિશન, સ્ટેટ ડિઝાસ્ટર, ઇમરજન્સી કોવિડ પેકેજ સહિત અનેક મિશન દ્વારા રાજ્યોને સતત નાણાકીય સહાય પૂરી પાડીને કોરોના સામેની લડાઈમાં તેમને સતત મદદ કરી છે. ભારતે 220 કરોડ વેક્સીન લગાવીને રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત સરકાર તેના પર નજર રાખી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે ઓમિક્રૉનનો નવો વેરિઅન્ટ વેરિઅન્ટ BF.7 ચીનમાં પ્રવેશ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યાંની સ્થિતિ જોયા બાદ ભારત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.












Click it and Unblock the Notifications
