ચીન સામે સુરક્ષા વધારવા ભારત અરૂણાચલમાં 54 નવી ITBP ચોકીઓ બનાવશે
નવી દિલ્હી, 11 જૂન : ચીનની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના એક મહત્ત્વના પગલામાં અરુણાચલ પ્રદેશમાં ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (આઈટીબીપી) માટે 54 નવી સરહદી ચોકીઓ ઊભી કરવાની યોજના ભારત સરકાર વિચારી રહી છે.
આઈટીબીપી માટે 54 આધુનિક ચોકી ઊભી કરવાની એક દરખાસ્ત કેન્દ્રના ગૃહખાતાની વિચારણા હેઠળ છે. આ સરહદી દળે તાજેતરમાં આ સંબંધમાં એક દરખાસ્ત રજૂ કરી હતી તે અંગે ધ્યાન આપવામાં આવ્યું છે.
ચીન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદનો 1126 કિમીનો વિસ્તાર અરૂણાચલ પ્રદેશમાં આવેલો છે. ભારતની સલામતી યંત્રણામાં સરહદ પર સારી આધુનિક વ્યવસ્થા ઊભી કરવાના એક ભાગરૂપે આ ચોકીઓ ઊભી કરવાનું વિચારાયું છે. આ ચોકીઓ ટુકડીઓને જોઈતી તમામ સુવિધા અને સાધનો વડે સજ્જ હશે. ગૃહ ખાતાએ સૈદ્ધાંતિક રીતે આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે અને આ અંગેની પ્રક્રિયા ચાલુ છે.
આ નવી સરહદી ચોકીઓ સોલર પાવરયુક્ત હશે અને તેમાં નિયમિત રીતે આઈટીબીપીના જવાનોને રખાય છે તેના કરતા વધારે મોટી હશે. તેમાં તાકીદના સમયે વધારાની ટુકડીને સમાવી શકાય એવી રહેવાની વ્યવસ્થા પણ હશે. આ ચોકીઓને સેટેલાઈટ ફોનથી જોડવામાં આવશે.
હાલ બીજાં રાજયો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમની સરહદોને જોડતા ચીન સાથેના 3,488 કિમીના વિસ્તારમાં 142 સરહદી ચોકીઓ છે. અરૂણાચલ પ્રદેશમાં હાલ આઈટીબીપીની 30 ચોકીઓ છે, પણ સરહદ પરના પડકારોને પહોંચી વળવા વધુ ચોકીઓની જરૂર છે.
આ નવી ચોકીઓથી આઈટીબીપીના બે સ્થળો વચ્ચેનું અંતર ઘટશે અને ચોકી પહેરાનું સંકલન સારી રીતે કરી શકાશે. આ સ્થળોએ ભૂતકાળમાં ચીન દ્વારા ઘૂસણખોરીના બનાવો બન્યા છે. નવી ચોકીઓ ઊભી થતાં નવી ટુકડીઓને સમાવી શકાશે.
ભારત-ચીન સરહદ પર અરૂણાચલનું મહત્ત્વ રહેલું છે. અરુણા્ચલ પ્રદેશના પાટનગર ઈટાનગર ખાતે આઈટીબીપીનું વડું મથક છે. વર્ષ 2004થી આ દળમાં 10,000 જેટલા માણસો છે. આ ક્ષેત્રમાં કેટલીક ચોકીઓ 9000થી 18700 ફૂટની ઊંચાઈ પર રહેલી છે ત્યાં આ ટુકડીઓને ખરાબ હવામાન અને ભારે બરફવર્ષાનો સતત સામનો કરવો પડે છે.