નરેન્દ્ર મોદી સરદાર પટેલના RSS અંગેના વિચારોથી સહેમત છે? : મનીષ તિવારી
નવી દિલ્હી, 29 ઓક્ટોબર : કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભાજપ પર સરદાર પટેલના વારસાને પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે કોંગ્રેસે નરેન્દ્ર મોદીને એ પણ યાદ કરાવ્યું છે કે 'સરદાર પટેલે કહ્યું હતું કે એ આરએસએસનો સાંપ્રદાયિક ઉન્માદ હતો જેણે ગાંધીજીના પ્રાણ લીધા હતા'
કોંગ્રેસે સરદાર પટેલના મુદ્દે મોદી પર નિશાન એવા સમયે તાક્યું છે જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહ અમદાવાદમાં દેશના પ્રથમ ગૃહ મંત્રી અને સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત સંગ્રહાલયનું ઉદઘાટન કરવા માટે નરેન્દ્ર મોદી સાથે મંચ શેર કરવાના છે.
આ અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ પત્રકારોને જણાવ્યું કે છેલ્લા ઘણા મહિનાઓથી ભાજપ સરદાર પટેલના વારસાને હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઇતિહાસ એ વાસ્તવિકતાનો સાક્ષી છે કે જેમની પાસે ઇતિહાસ નથી હોતો, તે બીજાનો ઇતિહાસ તફડાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી જે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે, તેમને મારી સલાહ છે કે તેમણે અભ્યાસ કરવો જોઇએ કે વારસો વાસ્તવમાં શું છે? જેને તેઓ પોતાનો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તિવારીએ જણાવ્યું કે 9 સપ્ટેમ્બર, 1948ના રોજ દેશના તત્કાલીન ગૃહ મંત્રી સરદાર પટેલે આરએસએસના સંસ્થાપક એમ એસ ગોલવરકરને લખ્યું હતું કે સાંપ્રદાયિક ઉન્માદના અંતિમ પરિણામ સ્વરૂપ દેશે મહાત્મા ગાંધીની જીવનના બલિદાનને સહન કરવું પડ્યું છે. શું સ્વયંસેવક નરેન્દ્ર મોદી સરદાર પટેલના આ વિચારો સાથે સહમત છે? અથવા આરએસએસ અંગેના સરદારના વિચારોને સમર્થન આપે છે જેના વારસાની તેઓ ઇચ્છા ધરાવે છે.