વટહુકમ પાછો ખેંચવાનો શ્રેય પ્રણવદાને, રાહુલને નહીં: અડવાણી
નવી દિલ્હી, 3 ઓક્ટોબર : કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે કલંકિત નેતાઓને બચાવતા વિવાદીત વટહુકમને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ વિવિધ વિપક્ષીદળો અને ખુદ કોંગ્રેસી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના પર વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે નાટકીય ઢબે આ વટહુકમને પરત લેવાયો અને આખા દેશમાં રાહુલની વાહવાહી થઇ અને વડાપ્રધાન મનમોહન સિંહની ફજેતી. પરંતુ આ વિશે અડવાણીનું કંઇક અલગ જ મંતવ્ય છે.
પરંતુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ વિવાદીત વટહુકમને પરત લેવાનો સંપૂર્ણ શ્રેય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપે છે. લાલકૃષ્ણ અડવાણીએ તેમના બ્લોગ પર આ વિશે લખ્યું છે કે 'વટહુકમ પાછો ખેંચવાનો શ્રેય પ્રણવદાને જાય છે, રાહુલ ગાંધીને નહીં.'
અડવાણી પોતાના બ્લોગ પર લખ્યુ છે કે 'આ વટહુકમના વિરોધ માટે અમારી પાર્ટીના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા માટે ગયા હતા. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી અમારી મુલાકાતમાં અમે રાષ્ટ્રપતિને સમજાવી લીધા હતા કે આ કાયદો ખોટો છે અને તેનાંથી કલંકિત નેતાઓ બચી જશે, એવું થવું જોઇએ નહીં. અને તેઓ માની પણ ગયા હતા.'
અડવાણીએ સોનિયા ગાંધી પર સીધો પ્રહાર કરતા બ્લોગમાં લખ્યું છે કે 'સોનિયાને એ વાતની ખબર પડી ગઇ હતી કે રાષ્ટ્રપતિ તરફથી વટહુકમનો ડ્રાફ્ટ મંજૂરી વગર જ પરત ફરશે. અને એવું થશે તો તેમની સરકારની વધારે ફજેતી થશે. એટલા માટે તેમણે રાહુલ ગાંધીને વિરોધ કરવા માટે મેદાનમાં ઉતાર્યા. પરંતુ તેમણે રાહુલને એવું ના શીખવાડ્યું કે તેમણે કેવીરીતે કરવાનું છે. જેના કારણે રાહુલે વટહુકમનો વિરોધ એવી રીતે કર્યો જેના કારણે તેમની પાર્ટીની અને વડાપ્રધાનની વધારે ફજેતી થઇ ગઇ.'
આ કારણના લીધે અડવાણી વટહુકમ પરત ખેંચાવાનો શ્રેય રાષ્ટ્રપતિને આપે છે. પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગ પર લખેલા આ આર્ટિકલમાં ક્યાંય ભાજપના વિરોધને પણ શ્રેય આપ્યો નથી, જે એક પ્રશ્ન છે. કારણ કે બીજેપી નેતાઓએ રાષ્ટ્રપતિના ગળે એ વાત ઉતારી હતી કે આ વટહુકમ દેશહિતમાં નથી.












Click it and Unblock the Notifications
