નવી દિલ્હી, 22 મે: સૂત્રો અનુસાર દેશના પદનામીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા સામેલ નહીં થાય. જોકે જયલલિતાએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેને શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રિત કરવાનો વિરોધ કર્યો છે. માટે માનવામાં આવી રહ્યું છે કે જયલલિતા શપથ ગ્રહણમાં આવશે નહીં. બીજી તરફ ભાજપના સહયોગી એમડીએમકેએ પણ રાજપક્ષેને શપથ ગ્રહણ સમારંભમાં બોલાવવાનો વિરોધ કર્યો છે. એમડીએમકેના સંસ્થાપક વાઇકોનું કહેવું છે કે શપથ ગ્રહણ સમારંભમાં રાજપક્ષેની હાજરીથી તમિલ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે.
વાઇકોએ જણાવ્યું કે લિટ્ટેની વિરુદ્ધ કાર્યવાહીમાં શ્રીલંકાનું સમર્થન કરવાને કારણે તમિલનાડુની જનતાએ કોંગ્રેસને બહારનો દરવાજો બતાવી દીધો. લિટ્ટેની વિરુધ્ધ કાર્યવાહી દરમિયાન હજારો તમિલ માર્યા ગયા છે. વાઇકોએ મોદી અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહને જણાવ્યું છે કે રાજપક્ષેને શપથવિધિમાં સામેલ થવાની પરવાનગી આપવી જોઇએ નહીં.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે, નેપાલના વડાપ્રધાન સુશીલ કોઇરાલા અને માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગય્યૂમ માટે તે દેશોના વિદેશ સચિવને નિમંત્રણ મોકલવામાં આવ્યા છે. રાજપક્ષેએ આમંત્રણનો સ્વિકાર પણ કર્યો છે. નરેન્દ્ર મોદી 26 મેની સાંજે 6 વાગ્યે પોતાના કેબિનેટની સાથે વડાપ્રધાનની શપથ લેશે.