ISISએ સદ્દામને ફાંસીની સજા સંભળાવનારા જજની હત્યા કરી
બગદાદ, 24 જૂન : ઇરાકમાં ઇસ્લામિક આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (ISIS) બળવાખોરોએ ઇરાકના પૂર્વ શાસક સદ્દામ હુસૈનને ફાંસીની સજાનો ચૂકાદો આપનારા જજને મોતને ઘાટ ઉતારી દીધા છે.
ઇરાકના પૂર્વ સરમુખત્યાર સદ્દામની નજીકના મનાતા ઇબ્રાહિમ અલ દૌરીએ તેમના ફેસબૂક અકાઉન્ટ પર આ દાવો કર્યો છે. જોર્ડનના એક સાંસદે પણ તેના ફેસબૂક પેજ પર આ દાવો કર્યો છે.
ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઇમ્સે અલ દૌરીના ફેસબુક એકાઉન્ટના હવાલાથી લખ્યું છે કે સદ્દામને ફાંસીની સજા સંભળાવનારા જજ રાઉફ અબ્દુલ રહેમાનનું અપહરણ કરાયું છે. ન્યૂ યોર્ક ટાઇમ્સે હાલમાં જ કહ્યું હતું કે આઇએસઆઇએસના આક્રમક થવા પાછળ અલ દૌરી છે. તેઓ વર્ષ 2003માં ઇરાક પર અમેરિકાના હુમલા સુધી ઇરાકી કમાન્ડ કાઉન્સિલના ડેપ્યૂટી ચેરમેન હતા અને વર્ષ 2007માં ઇરાકની પ્રતિબંધિત બાથ પાર્ટીના નેતા રહ્યા.
જોર્ડનના સાંસદ ખલીલ અતીહના ફેસબૂક અકાઉન્ટના હવાલાથી ડેલી મેલ, ન્યૂયોર્ક પોસ્ટ સહિતની અન્ય વેબસાઇટોએ લખ્યું છે, 16 જૂનના રોજ જજ રહેમાનનું અપહરણ કરાયું અને 18 જૂને તેમને ફાંસી આપી દેવાઈ. અતીહના જણાવ્યા પ્રમાણે રહેમાન બગદાદથી એક ડાન્સરના વેશમાં ભાગી રહ્યા હતા, જોકે તેઓ પકડાઈ ગયા.
જજ રહેમાન કુર્દ હતા અને જાન્યુઆરી 2006માં રાજગાર આમીનની જગ્યાએ તેમને સદ્દામ પરના ખટલાની સુનાવણી સોંપવામાં આવી હતી. આમીન પર આરોપ હતો કે તેઓ સદ્દામ પ્રત્યે નરમ વલણ રાખી રહ્યા હતા. ડેલી મેલનો દાવો છે કે સદ્દામને ફાંસી આપ્યા બાદ જજ રહેમાને માર્ચ 2007માં બ્રિટન પાસે આશરો માગ્યો હતો.
સદ્દામને મોતની સજા સંભળાવાઈ એ મુદ્દે ઇરાકના ઘણા વિસ્તારોમાં વિરોધ થયો હતો. કહેવાય છે કે હલબજા મૂળથી હોવાને કારણે રહેમાને પક્ષપાત રાખીને નિર્ણય આપ્યો હતો. 16 માર્ચ, 1988માં ઇરાન-ઇરાક યુદ્ધ દરમિયાન ઇરાકી સૈનિકોએ કુર્દના હલબજા શહેર પર રાસાયણિક બોમ્બ ફેંક્યા હતા.
આ હુમલામાં 3200થી 5000 લોકોના મોત થયા હતા અને વીસ હજારથી વધુ નિર્દોષ લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. આ હુમલામાં જજ રહેમાનના કેટલાક પરિવાજનો અને સંબંધીઓ પણ સામેલ હતા. એટલું જ નહીં સદ્દામના સુરક્ષા એજન્ટોએ પણ જજને હિરાસતમાં રાખી તેમના પર અત્યારચાર ગુજાર્યો હતો.