ગોધરા ભાજપના અગ્રણીની આત્મહત્યાથી ખળભળાટ
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
ગોધરા ભાજપના અગ્રણીની આત્મહત્યાથી ખળભળાટ
પંચમહાલ જિલ્લાના પૂર્વ બક્ષીપંચના પ્રમુખ પી.બી.બારીયાએ ભાડાના મકાનમાં કરેલા આપઘાતને કારણે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. બનાવની જાણ થતા પોલીસ, પરિવારજનો સહિત અનેક રાજકીય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં એ ડીવીઝન પીઆઇ, ડીવાયએસપી સહિત પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો. જ્યાં મકાન અંદરથી બંધ હોવાથી પરિવારજનોએ તથા પોલીસ દ્વારા મકાનનો મુખ્ય દરવાજો તોડી અંદર જવું પડ્યું હતું. રાજકીય કારર્કિર્દીમાં આગેવાન ગણાતા બારિયા આ રીતે આત્મહત્યા કરે એ બાબત લોકોના માન્યામાં ન આવતા તેમની હત્યા થઈ હોવાની વાતોએ જોર પકડ્યું હતુ.
ઝરણા જોષી પર થયેલા હુમલા બાદ બ્રહ્મસમાજની ચીમકી
મોરબી નજીકના ઘૂટું રોડ પર આવેલા સોનાકી સિરામિકમાંથી ઝરણા જોષીએ બાળમજૂરોને છોડાવ્યા હતા, ત્યાર બાદ ગત રવિવારે તેના પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ઝરણા ઈજાગ્રસ્ત બની હતી. આ મુદ્દે બ્રહ્મસમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોલીસને યોગ્ય પગલા ભરવાનું કહી જો યોગ્ય પગલાં નહીં લેવાયા તો ધરણા સહિતના કાર્યક્રમો યોજવા ચીમકી આપી હતી. પોલીસે મંગળવારે સોનાકી કારખાનાના પ્લાન્ટ મેનેજર સંજીવસીંગ શ્રીનીવાસસિંગની ધરપકડ કરી હતી. માલિકની પૂછપરછ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ભૂજ નગરપાલિકામાં વિવિધ માંગણીઓ અને અસુવિધા મુદ્દે કોંગ્રેસના ધરણા
ભુજ નગરપાલિકાના કથળેલા વહીવટના આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસે સુધરાઈના પ્રાગણમાં સવારે 10થી 1 સુધી ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે જોકે તે સમયે મેયર અશોક હાથી અને વોટર સમિતિના ચેરમેન જગત વ્યાસ કચેરીમાં જવા ત્યાંથી પસાર થયા હતા, જેથી વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમારી રજૂઆત સાંભળો, પરંતુ અશોક હાથી અને વોટર સમિતિના ચેરમેન જતા રહેતા ગિન્નાયેલા કોંગ્રેસીઓએ પાછળ-પાછળ ચેરમેન હાય-હાયના નારા સાથે કોંગ્રેસી નગરસેવકો પણ ધસી ગયા હતા, ત્યાર બાદ હરકતમાં આવેલી પોલીસે મામલો વધુ બિચકે તે પહેલા મુખ્ય જાળી બંધ કરી દીધી હતી. બાદમાં કોંગ્રેસીઓ આવેદનપત્ર આપવા દેવાની માંગ કરતા પોલીસે કોંગ્રેસીઓને નગરપતિની કેબિનમાં જવા દીધા હતા. જ્યા કોંગ્રેસીઓએ પાણી, ગટર, સફાઈ અને લાઈટની અસુવિધાના મુદ્દે રજૂઆત કરી હતી.
અમદાવાદના રખિયાલમાં સ્થાનિકો તથા પોલીસો વચ્ચે અથડામણ
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા મોરારજી ચોકમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ઉશ્કેરાયેલા સ્થાનિકોએ પોલીસના વાહન સહિત કુલ 7 જેટલા વાહનને આગ લગાવી દીધી હતી. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા તેમજ એસીપી અને ડીસીપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલો અહીં આવેલા એક મેદાનમાં હાઉસિંગ બોર્ડના મકાન બનાવવા બાબતનો છે. સ્થાનિકોએ અનેક વખત આ મકાનો સામે પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં કોઇ કાર્યવાહી ન થતા ઉશ્કેરાયેલા સ્થાનિકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો અને વાહનોમાં આગચંપી કરી હતી હંગામા બાદ ઘટનાસ્થળે આવી પહોંચેલા શહેર પોલીસ કમિશનરે આ મામલે સ્થાનિક કોર્પોરેટરને ઠપકો પણ આપ્યો હતો.
ભરૂચમાં સરદારબ્રિજ ઉપર સમારકામથી હાઇ વે ઉપર ચક્કાજામ
નવા સરદારબ્રિજ પર 24 કલાક ધમધમતા 40,000 વાહનોને કારણે માર્ગ બિસ્માર બન્યો છે. માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડવા સાથે રસ્તો ઉબડખાબડ બનતા ચોમાસા પહેલા સમારકામ હાથ ધરી માર્ગને દુરસ્ત કરવા સોમવારે બપોરથી તબક્કાવાર એક લેન બંધ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચનાં નવા સરદારબ્રિજનાં માર્ગ પર પડી ગયેલા ગાબડાના સમારકામ માટે એન.એચ.એ.આઇ. એ સોમવારે બપોરથી તબક્કાવાર એક-એક લેન પર બ્લોક લઇ હાથ ધરેલા સમારકામનાં કારણે 24 કલાકથી ચક્કાજામ સર્જાતા બ્રિજનાં બન્ને છેડે 10-10 કિમી સુધી વાહનોની કતારો જામી હતી.
ડભોઈમાં જાદુગરના શોમાં બબાલને પગલે ત્રણ રાઉન્ડ ગોળીબાર
ડભોઇ નગરનાં રંગઉપવન બાગ ખાતે આવેલા નગરપાલિકા રંગઉપવન હોલ માં છેલ્લા ત્રણચાર દિવસો થી આવેલા જાદુગર કરણ નાં શો દરમ્યાન કાં તો જગ્યાનાં કારણે કે અન્ય કોઇ કારણોસર નગરનાં કોઇ દર્શકને બબાલ થઇ હતી બબાલ દરમ્યાન આવી ગયેલા જાદુગર કરણનાં માણસે તેની પાસે રહેલી પિસ્તોલમાંથી ચાર રાઉન્ડ ગોળીબાર કરતાં મામલો બિચક્યો હતો અને વિફરેલા ટોળાએ જાદુગરનાં માણસો પર હુમલો કરી માર માર્યો હતો. પોલીસે ઘટનાં સ્થળે પહોંચી જઇ અને જાદુગરનાં ત્રણ માણસોની અટકાયત કરી પોલીસ મથકે લઇ ગઈ હતી. રાઉન્ડ ફાયરિંગને કારણે ચાલુ શોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. અને શો બંધ કરવાની ફરજ પડી હતી.
શાળા પ્રવેશોત્સવ ટાણે જ ખંભાતના નવાપુરાની શાળાને લાગ્યા તાળા
આજથી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો જોરશોરથી પ્રારંભ થયો છે પરંતુ આણંદના ખંભાતના નવાપુરા ગામે છેલ્લા કેટલાક સમયથી વાલીઓની માંગણી ન સંતોષાતા શાળા પ્રવેશોત્સવ સમયે જ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી. વાલીઓની માંગણી પ્રાથમિક શાળામાં રૂમ વધારવામાં આવે્. શાળાના ઓરડાના કામ મંજૂર થઈ ગયા હોવા છતાં બાંધકામ ન કરાતાં તાળાબંધી કરાઇ હતી. અને નવા ઓરડા નહીં તો પ્રવેશ નહીંના બોર્ડ લગાવી દેવાયા હતા. 300 બાળકોને બે વર્ષથી બે જ ઓરડામાં અભ્યાસ કરવો પડે છે. જેથી ઓરડામાં વિદ્યાર્થીઓને સમાવવા પણ મુશ્કેલ બને છે. પરિણામે ગ્રામીણોએ રોષ વ્યક્ત કર્યો હતો.