સુપ્રીમ કોર્ટના 48માં મુખ્ય ન્યાયાધીશ બન્યા જસ્ટીસ એનવી રમણ, રાષ્ટ્રપતિએ અપાવ્યા શપથ
શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટીસ એનવી રમણને ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયાના શપથ લેવડાવ્યા.
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શરદ અરવિંદ બોબડે શુક્રવારે નિવૃત્ત થઈ ગયા. ત્યારબાદ તેમના માટે એક ખાસ ફેરવેલનુ આયોજન કરવામાં આવ્યુ. આ દરમિયાન શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટીસ એનવી રમણને ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયાના શપથ લેવડાવ્યા. કોરોના મહામારીના કારણે રાષ્ટ્રપતિ ભવન તરફથી કોઈ મોટો કાર્યક્રમ આયોજિત થઈ શક્યો નહિ. આમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પીએમ નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ સહિત અમુક જ હસ્તીઓ શામેલ હતા.
જસ્ટીસ એનવી રમણને લોકો શાંત, ગંભીર અને બંધારણીય બાબતોના સારા જાણકાર માને છે. તેમની પાસે 45 વર્ષનો અનુભવ છે અને તેઓ સુપ્રીમ કોર્ટના ઘણા મહત્વના ચુકાદાનો હિસ્સો રહી ચૂક્યા છે. વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ હોવાના કારણે જસ્ટીસ બોબડેએ તેમના નામની ભલામણ કરી હતી. છેલ્લા અમુક દિવસોથી જસ્ટીસ રમણનુ નામ ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ કારણકે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ હાઈકોર્ટને એક પત્ર લખીને તેમની ફરિયાદ કરી હતી.
જસ્ટીસ એનવી રમણ 27 ઓગસ્ટ 1957ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં જન્મ્યા. તેમનુ આખુ નામ નથાલપતિ વેંકટ રમણ છે. તેમણે સાયન્સ અને લૉમાં ગ્રેજ્યુએશન કર્યુ. ત્યારબાદ તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ, કેન્દ્રીય પ્રશાસનિક ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેકટીસ કરી. 27 જૂન 2000ના રોજ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સ્થાયી જજ તરીકે તેમની નિમણૂક થઈ. વર્ષ 2013માં 13 માર્ચથી 20 મે સુધી તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ રહ્યા.
મે મહિનામાં કોરોનાથી ભારતમાં રોજ થશે 5000થી વધુ મોતઃ રિસર્ચ
2 સપ્ટેમ્બર, 2013માં તેમણે દિલ્લી હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસનુ પદ સંભાળ્યુ. ત્યારબાદ ત્રણ મહિનાની અંદર તેમને સુપ્રીમ કોર્ટમાં પોસ્ટીંગ આપવામાં આવી.મુખ્ય ન્યાયાધીશ એસવી રમણ ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ ચાલુ કરવાનો ચુકાદો આપીને ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત સીજેઆઈ કાર્યાલયને RTI હેઠળ લાવવાના ચુકાદો આપનારી બેંચના પણ તે સભ્ય રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટીસ એનવી રમણનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022ના રોજ ખતમ થઈ રહ્યો છે એટલે કે જસ્ટીસ રમણ આ પદ પર લગભગ 16 મહિના સુધી રહેશે.
Delhi: Justice NV Ramana takes oath as the new Chief Justice of India (CJI). He was administered the oath by President Ram Nath Kovind, at Rashtrapati Bhavan. pic.twitter.com/jDESeLZh2D
— ANI (@ANI) April 24, 2021