સુક્માઃ વીરપ્પનનો કેસ ઉકેલનાર ઓફિસરના હાથમાં સુક્માની કમાન
કેન્દ્ર સરકારે સુકમામાં નક્સલવાદીઓનો સફાયો કરવાની જવાબદારી એવા અધિકારીને સોંપી છે, જેણે વીરપ્પનનો મામલો ઉકેલવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
છત્તીસગઢ ના સુકમા માં થયેલ નક્સલવાદી હુમલા માં 25 જવાનો શહીદ થયા બાદ હવે કેન્દ્ર સરકારે આ મામલે નિશ્ચિત પગલાં લેવાનો નિર્ણય કરી લીધો છે. આ માટે ભારત સરકારે જે અધિકારી પર પસંદગી ઉતારી છે, તે એ જ અધિકારી છે જેણે ત્રણ રાજ્યોમાં ચંદનની દાણચોરી કરનાર વીરપ્પન નો મામલો ઉકેલવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
રિટાયર્ડ આઇપીએસ કે.વિજય કુમાર
સુક્માના નક્સલવાદીઓનું પીઠબળ તોડવા માટે સરકારે ભારતીય પોલીસ સેવા(આઇપીએસ)ના અધિકારી રિટાયર્ડ કે.વિજય કુમાર પર પસંદગી ઉતારી છે. વિજય કુમારે પણ કોઇ આનાકાની વગર આ જવાબદારી સ્વીકારી છે.
29 એપ્રિલે પહોંચી ગયા છે સુક્મા
વિજય કુમાર 29 એપ્રિલના રોજ સુક્મા પહોંચી ગયા છે. તેમની સાથે જ બસ્તર રેંજના આઇજી વિવેકાનંદ સિન્હા પણ સુક્મા પહોંચ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, નક્સલવાદીઓના ત્રાસમાંથી છૂટકારો મેળવવા માટે તેઓ અહીં સાથે મળી રણનીતિ બનાવશે.
વખાણવા યોગ્ય ઇતિહાસ
કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)માં ડાયરેક્ટર જનરલ રહી ચૂકેલા વિજય કુમારનો ઇતિહાસ વખાણવા યોગ્ય છે. તેઓ પહેલાં પણ નક્સલવાદીઓ સામેની કાર્યવાહીમાં આગળ પડતો ભાગ ભજવી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 76 જવાનો શહીદ થયા હતા. ત્યારે વિજય કુમારે બતાવેલ સૂચનાનું અનુસરણ કરીને જ નક્સલવાદીઓને સણસણતો જવાબ આપવામાં આવ્યો હતો.
2010માં લીધો હતો બદલો
તે સમયે ટેક્નીકલ ટીમ, ઇન્ટેલિજન્સ વિંગ, લોકલ ઇન્ટેલિજન્સ, ડોગ સ્ક્વોડ સહીત અનેક ટીમો વચ્ચે યોગ્ય કોઓર્ડિનેશન સાધી નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી નક્સલવાદીઓના ઘણા મોટા આગેવાનોનો સફાયો કરવામાં સફળતા મળી હતી.
અહીં વાંચો
દિલ્હી BJP પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીના ઘરે હુમલો
દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીના ઘર પર કેટલાક અજાણ્યા શખ્સોએ રવિવારે મોડી રાતે હુમલો કર્યો હતો.