ડૉ અબ્દુલ કલામ આઇઆઇએમ શિલોંગમાં ભણાવશે
આ અંગે આઇઆઇએમ શિલોંગના ડાયરેક્ટર કાયા સેનગુપ્તાએ જણાવ્યું કે "આઇઆઇએમ શિલોંગમાં ડૉ કલામ લેક્ચર લેવા આવવાના છે એ વાત જાણીને સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ખુબ જ ખુશ અને ઉત્સાહમાં આવી ગયા છે." આઇઆઇએમ શિલોંગમાં રવિવારથી મંગળવાર સુધી 'ઇકોનોમિકલી ડેવલપ્ડ નેશન - હાઉ ટુ રિયલાઇઝ' વિષય પર લેક્ચર આપશે.
સેનગુપ્તાના જણાવ્યા અનુસાર કલામ બીજા વર્ષના વિદ્યાર્થીઓને 'ઇકોનોમિકલી ડેવલપ્ડ નેશન - હાઉ ટુ રિયલાઇઝ' વિષય પર લેક્ચર આપવાના છે. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે 6 માર્ચના રોજ ડૉ કલામે આઇઆઇએમ શિલોંગની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે લેક્ચર લેવા પર સહમતિ દર્શાવી હતી.
ડૉ કલામે જણાવ્યું હતું કે "હું શિક્ષક છું. એક પ્રોફેસર તરીકે મારી પાસે જે જ્ઞાન છે તે હું આપીશ. મને યુવાનોને મળવાનું ગમે છે. મને તેમની જ્ઞાનવૃદ્ધિમાં સહયોગ આપવો ગમે છે." ઉલ્લેખનીય છે કે ડૉ કલામ આઇઆઇએમ અમદાવાદમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે લેક્ચર લેતા આવ્યા છે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને જૂથ એમ બંને રીતે માર્ગદર્શન પણ પૂરું પાડે છે.
ઉલ્લેખનીય છે કે મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગમાં વર્ષ 2008માં શરૂ કરવામાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ આપ્યું હતું.