Kanjhawala Case : મૃતક અંજલિની ફ્રેન્ડ નિધિ પહેલાથી જ આરોપીઓને જાણતી હતી? જાણો શું કહ્યું પોલીસે?
સીપી સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે, નિધિનું નિવેદન નોંધવામાં આવ્યું છે. નિધિ અને આરોપી વચ્ચે કોઈ કડી મળી નથી.
નવી દિલ્હી : દિલ્હીના ચકચારી કાંઝાવાલા અકસ્માત કેેસમાં રોજ રોજ નવા ખુલાસા અને દાવા થઈ રહ્યા છે ત્યારે હવે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. પોલીસ સતત તૂંટતી કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે હવે પોલીસે આરોપીએ અને મૃતક અંજલિને લઈને કેટલીક વાતો પરથી પરદો હટાવ્યો છે.
કાંઝાવાલા અકસ્માત કેસમાં સતત નવા નવા દાવાઓ થઈ રહ્યા છે ત્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ મીડિયાને કેસ સંબંધિત કેટલીક માહિતી આપી હતી. અહીં પોલીસને અંજલિની ફ્રેન્ડ નિધિ આરોપીઓને જાણતી હતી કે કેમ તે તમામ જવાબ આપ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, મૃતક અંજલિની ફ્રેન્ડ નિધિએ કહ્યું હતું કે, મૃતક અંજલિ ઘટના વખતે નશામાં હતી અને સ્કુટી ચલાવવાની જીદ કરતી હતી. આ સાથે નિધિએ અંજલિની ભૂલ હોવાનો દાવો કર્યો હતો. આ પછી એવો સવાલ ઉઠ્યો હતો કે શું નિધિ આરોપીને પહેલાથી ઓળખતી હતી? હવે પોલીસે સવાલ પરથી પરદો હટાવ્યો છે.
સીપી સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે, નિધિનું નિવેદન નોંધવામાં આવ્યું છે. નિધિ અને આરોપી વચ્ચે કોઈ કડી મળી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ અમે નિવેદન આપી શકીશું કે તેણી નશામાં હતી કે નહીં, જો કે તેનો આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. આ આઈપીસીની કલમ 304 હેઠળનો કેસ છે.
તેમણે આગળ કહ્યું કે, અમારી 18 ટીમ કામ કરી રહી છે. અમે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં અમને જાણવા મળ્યું છે કે આમાં વધુ 2 લોકો આશુતોષ અને અંકુશ ખન્ના સામેલ છે. અમારી ટીમ દરોડા પાડી રહી છે. અમે પ્રત્યક્ષદર્શીનું નિવેદન નોંધ્યું છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે વાહન દીપક નહીં પણ અમિત ચલાવતો હતો. અહીં તેમણે એ વાત પણ સાફ કરી કે પોસ્ટમોર્ટમ દરમિયાન જાતીય શોષણના કોઈ પુરાવા મળ્યા નથી.