Karnataka Election : બીજેપીને વધુ એક ઝટકો, સીવી ચંદ્રશેખરે પાર્ટી છોડી JDS નો હાથ પકડ્યો
હવે કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને હવે ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ નજીક છે ત્યારે પણ બીજેપીને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. બીજેપીના ઘણા મોટા નેતાઓ પાર્ટી છોડીને કોંગ્રેસ અને જેડીએસ સાથે જોડાઈ ચુક્યા છે ત્યારે હવે વધુ એક નેતા બગાવત કરતા જોવા મળ્યા છે.
બીજેપીએ ટિકિટમાં ઘણા મોટા નેતાઓની ટિકિટ કાપી નાંખી છે. બીજેપીએ ટિકિટ કાપતા હવે બીજેપીના મોટા નેતા કેસી ચંદ્રશેખરે પણ પાર્ટીને બાય બાય કહી દીધુ છે અને જેડીએસમાં જોડાઈ ચુક્યા છે.

સીવી ચંદ્રશેખર કર્ણાટકની કોપ્પલ વિધાનસભા બેઠક પરથી ટિકિટ માંગી રહ્યા હતા પરંતુ ચંદ્રશેખરને ટિકિટ આપવાને બદલે ભાજપે આ બેઠક પરથી સાંસદ સંગન્ના કરાડીની વહુ મંજુલા અમરેશ કરાડીને મેદાનમાં ઉતાર્યા છે.
સીવી ચંદ્રશેખર 2018 થી આ સીટ પરથી ચૂંટણી લડવા રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે જ્યારે તેમને આ વખતે પણ ટિકિટ આપવામાં ન આવી તો તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, 2018 કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોપ્પલના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરાઈ હતી પરંતુ કરાડીના પુત્ર અમરેશ કરાડીને છેલ્લી ઘડીએ બી ફોર્મ અપાયુ હતું.
ચંદ્રશેખરને આશા હતી કે આ વખતે તેમને ટિકિટ મળશે પરંતુ ભાજપે તેમની માંગની અવગણના કરીને અને મંજુલાના નામની જાહેરાત કરતા તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.
ટિકિટ ન મળતા નારાજ ચંદ્રશેખરે કહ્યું કે, પાર્ટીના હાઈકમાન્ડે મને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. પાર્ટીએ ફરી એક વખત મારી સાથે દગો કર્યો છે. પક્ષની વાત અને કામમાં કોઈ સંબંધ નથી. આ વાતથી પરેશાન થઈને હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીશ અને અપક્ષ અથવા જેડીએસમાંથી ચૂંટણી લડીશ.












Click it and Unblock the Notifications
