Karnataka Election : ટિકિટ ન મળતાં લક્ષ્મણ સાવડીએ ભાજપ સાથે છેડો ફાડ્યો
Karnataka Election : આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પક્ષ તરફથી ટિકિટ ન મળવાને કારણે લક્ષ્મણ સાવદી નારાજ હતા. જે બાદ ભાજપના નેતા લક્ષ્મણ સાવદીએ બુધવારના રોજ જાહેરાત કરી કે, તેઓ ભગવા પક્ષના પ્રાથમિક સભ્યપદ અને MLC તરીકે રાજીનામું આપશે.
લક્ષ્મણ સાવદી જિલ્લાની અથાણી વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં તેમને કોંગ્રેસના તત્કાલિન ઉમેદવાર મહેશ કુમથલ્લીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

કુમથલ્લી એ કોંગ્રેસના નેતાઓમાંના એક હતા, જેમણે તત્કાલીન કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકારને તોડી પાડવા અને 2019માં બીએસ યેદિયુરપ્પા હેઠળ ભાજપની સરકાર બનાવવામાં મદદ કરી હતી. તેઓ ભાજપમાં જોડાયા હતા. કુમથલ્લીમાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી રમેશ જરકીહોલીનું પણ સમર્થન છે.
પત્રકારોને સંબોધતા સાવદીએ જણાવ્યું હતું કે, મેં ચોક્કસપણે નિર્ણય લીધો છે. મેં પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે, 63 વર્ષીય નેતાએ જણાવ્યું હતું કે, તેઓ ગુરુવારની સાંજે મક્કમ નિર્ણય લેશે અને શુક્રવારથી તેના પર કામ કરવાનું શરૂ કરશે.
અથાણી મતવિસ્તારના લોકો અને સમર્થકોને તેમનો વાસ્તવિક હાઈકમાન્ડ ગણાવતા લક્ષ્મણ સાવદીએ જણાવ્યું હતું કે, તેમણે તેમને પક્ષ તેમજ વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપવા સૂચના આપી છે.
તેમણે જણાવ્યું હતું કે, હું મારા હાઈ કમાન્ડને ગુમાવવા તૈયાર નથી. તેમની સૂચનાઓનું પાલન કરવું મારી પ્રાથમિક ફરજ છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે મેં મારી પાર્ટીમાંથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે, તો શું મારે MLC તરીકે ચાલુ રાખવું જોઈએ? હું સ્વાભિમાની વ્યક્તિ છું.
લક્ષ્મણ સાવદીની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા, મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ તેમને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા જણાવ્યું છે.
તેમણે જણાવ્યું છે કે, મેં લક્ષ્મણ સાવદી સાથે વાત કરી છે. મેં તેમને ઉતાવળમાં નિર્ણય ન લેવા કહ્યું છે. હું માનું છું કે, સાવદીનો ભાજપ સાથે ઘણો જૂનો અને ભાવનાત્મક સંબંધ છે.
તેમણે કહ્યું કે, તેઓ જાણે છે કે તેમને ટિકિટ આપવામાં આવી નથી, પરંતુ તેઓ અને પાર્ટી હાઈકમાન્ડ તેમની સાથે વાત કરશે. બોમ્માઈએ તેમને સ્વસ્થતાથી વિચારવાની સલાહ આપી જેથી તેઓ અનુભવી શકે કે, પાર્ટીમાં તેમનું ઉજ્જવળ ભવિષ્ય છે.
કર્ણાટકના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તેમનો હાથ પકડી રાખ્યો છે અને ભવિષ્યમાં પણ તેમ કરવાનું ચાલુ રાખશે. આ સાથે પાર્ટી તેમનું હંમેશા સન્માન કરશે.
લાંબા મંથન પછી, ભાજપે મંગળવારે રાત્રે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ તેમની પરંપરાગત શિગાંવ બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે તેમની સરકારમાં મંત્રી આર અશોક કનકપુરા બેઠક પરથી ચૂંટણી લડશે, કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર અને અન્ય મંત્રી વી સોમન્ના વરુણા વિધાનસભા બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાને પડકારશે.
રવિવારના રોજ કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક પછી, ભાજપના ટોચના નેતાઓએ અનેક રાઉન્ડ બેઠકો યોજી અને પછી ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપ્યું હતું. સીઈસીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા સહિત અન્ય કેટલાક નેતાઓએ પણ અન્ય બેઠકોમાં હાજરી આપી હતી.
ભાજપે 52 નવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 189 ઉમેદવારોની યાદીમાં, 32 અન્ય પછાત વર્ગો (OBC) ના છે, જ્યારે 30 અનુસૂચિત જાતિ અને 16 અનુસૂચિત જનજાતિના છે.
ઉમેદવારોની પ્રથમ યાદીમાં કુલ આઠ મહિલાઓને સ્થાન મળ્યું છે. કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરવાનું લક્ષ્ય રાખતી ભાજપે વિધાનસભાની કુલ 224 બેઠકોમાંથી ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.












Click it and Unblock the Notifications
