કર્ણાટક જ નહિ, 2019માં પણ મોદી-શાહને હેરાન કરી શકે છે કોંગ્રેસ-જેડીએસ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પ્રદેશમાં સરકાર બનાવવા અંગે જંગ જામી છે. ભાજપે કર્ણાટક ચૂંટણીમાં વધુ સીટો જીતી છે તેમછતાં તે સત્તાથી દૂર છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પ્રદેશમાં સરકાર બનાવવા અંગે જંગ જામી છે. ભાજપે કર્ણાટક ચૂંટણીમાં વધુ સીટો જીતી છે તેમછતાં તે સત્તાથી દૂર છે. હાલમાં રાજ્યમાં સરકાર બનાવવા માટે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કરીને ભાજપને રોકવાની કોશિશ કરી છે. જો કે હજુ પણ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ દ્વારા કોઈને પણ આમંત્રિત કરવામાં આવ્યા નથી. વળી, જો કોંગ્રેસ અને જેડીએસના મતની ટકાવારીની વાત કરીએ તો આ બંનેએ સારો એવો વોટ શેર મેળવી લીધો છે.
ભાજપ માટે ખતરાની ઘંટી
આ આંકડો દર્શાવે છે કે જો આ બંને પક્ષોએ ચૂંટણી પહેલા ગઠબંધન કર્યુ હોત તો કહાની કંઈક અલગ જ હોત. તેના પરિણામે આ બંને મળીને ભાજપને માત્ર 68 સીટો પર રોકી શકતા હતા. વળી, આ બંનેના ગઠબંધનને લગભગ 156 સીટો મળી શકતી હતી. જો બધુ બરાબર રહ્યુ તો કોંગ્રેસ અને જેડીએસનું આ ગઠબંધન લોકસભા ચૂંટણી 2019 માં પણ ચાલુ રહેશે કે જે ભાજપ માટે ખતરાની ઘંટી બની શકે છે.
ગઠબંધનને કારણે લોકસભા ચૂંટણીમાં ભાજપને થઈ શકે છે મોટુ નુકશાન
કેટલાક જાણકારો મુજબ જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનથી મળેલી ટકાવારી પર જો લોકસભા ક્ષેત્રના હિસાબે વિશ્લેષણ કરીએ તો ભાજપને કર્ણાટકમાં 28 માંથી માત્ર 6 સીટોથી જ સંતોષ માનવો પડશે. આ 2014 ની ચૂંટણીઓ બાદ ભાજપ માટે બહુ મોટો ઝટકો બની શકે છે જ્યાં ભાજપે 17 સીટો પર કબ્જો જમાવ્યો હતો.
લોકસભા ચૂંટણી 2019 માં ગઠબંધનના ખાતામાં 22 સીટો જઈ શકે
લોકસભા ચૂંટણી 2019 માં કર્ણાટકના બગલકોટ, હોનેરી, ધારવાડ, ઉડ્ડપી-ચિકમંગલૂર, દક્ષિણ કન્નડ અને દક્ષિણ બગલકોટમાં ભાજપને જીત મળી શકે છે. આ અનુસાર ભાજપ હૈદરાબાદ-કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકમાં કોઈ સીટ જીતવામાં સફળ નહિ થઈ શકે. જ્યારે હાલના મતોની ટકાવારીના આધાર પર કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ખાતામાં 22 સીટો જઈ શકે છે.
ભાજપને કમજોર સમજવાની ભૂલ કરી જેડીએસ-કોંગ્રેસે
વાસ્તવમાં કર્ણાટકની સ્થિતિ ઓછાવત્તા અંશે ઉત્તરપ્રદેશ જેવી છે જ્યાં સમાજવાદી પક્ષ અને બસપાએ ભાજપની તાકાતને ઓછી આંકી અને અલગ-અલગ ચૂંટણીઓ લડી. તે જ રીતે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વને નજરઅંદાજ કરીને અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને તેનું પરિણામ એ આવ્યુ કે ભાજપ સૌથી મોટો પક્ષ બનીને આવ્યુ. પરંતુ હવે આ બંને વિરોધી પક્ષો ભાજપને રોકવા માટે ગઠબંધન કરીને સાથે આવી ગયા છે.