કર્ણાટકમાં મોહરમ અને ગણેશ ચતુર્થીના સાર્વજનિક કાર્યક્રમ પર રોક, સરકારે જાહેર કર્યા કડક નિર્દેશ
કર્ણાટક સરકારે મોહરમના તહેવાર પર દરેક પ્રકારના કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે.
નવી દિલ્લીઃ કર્ણાટક સરકારે મોહરમના તહેવાર પર દરેક પ્રકારના કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે. સરકાર તરફથી જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે20 ઓગસ્ટ સુધી મોહરમના તહેવાર નિમિત્તે કોઈ પણ પ્રકારના જુલૂસ, તાજિયા અને માતમ મનાવવાના કાર્યક્રમ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. નમાઝ વગેરે મસ્જિદની અંદર કોરોના નિયમોનુ કડકાઈથી પાલન કરીને જ કરવામાં આવશે. આ ઉપરાંત 10 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પોતાના ઘરમાં જ નમાઝ અદા કરવા માટે કહેવામાં આવ્યુ છે.
કર્ણાટક સરકાર તરફથી 12 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી માટે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના મોહરન જુલૂસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. સરકારના આદેશ અનુસાર કબ્રસ્તાનમાં કોઈ પણ પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરવામાં નહિ આવે. વળી, મસ્જિદમાં નમાઝ પઢવા આવતા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા અને જરૂરી બધા કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે.
સરકાર તરફથી જાહેર કરાયેલ નિર્દેશમાં કહેવામાં આવ્યુ છે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર પણ કોઈ પણ પ્રકારના પંડાલ લગાવવામાં નહિ આવે અને કોઈ પણ પ્રકારના મનોરંજક કાર્યક્રમ પણ આયોજિત કરવાની મંજૂરી નહિ હોય. ગણેશજીની મૂર્તિને એક નિશ્ચિત સ્થળે જ વિસર્જિત કરવાની મંજૂરી મળશે. જે મંદિરોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવશે તેને રોજ સારી રીતે સેનિટાઈઝ કરવુ અનિવાર્ય છે. મંદિરોમાં આવતા લોકોએ અનિવાર્ય રીતે ખુદને સેનિટાઈઝ કરવાના રહેશે. સાથે જ દરેક વ્યક્તિની થર્મલ તપાસ કરવામાં આવશે. હાથ સેનિટાઈઝ કરવા અને થર્મલ તપાસ બાદ જ લોકોને મંદિરમાં જવાની મંજૂરી રહેશે.