Karnataka : બીજેપીની ખરાબ હાર પ્રદેશ અધ્યક્ષનો ભોગ લેશે, બહુ જલ્દી રાજીનામું લેવાઈ શકે છે
કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીની ખરાબ હારે વિપક્ષમાં નવી તાકાત ભરી દીધી છે. આ હાર બાદ હવે હાલત એ છે કે બીજેપી નેતાઓની બોલતી બંધ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બહુ જલ્દી પાર્ટી કર્ણાટક પ્રદેશ અધ્યક્ષને હટાવી શકે છે.
કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીને હરાવીને કોંગ્રેસે ઇતિહાસ રચી દીધો છે. જો આગળ જતા સંજોગો બદલાયા તો બીજેપીને આ હાર ભારે પડી શકે છે. કોંગ્રેસની 135 સીટો સામે માત્ર 66 બેઠકો જીતી શકેલી બીજેપી હવે રાજ્યમાં મોટા ફેરફાર કરી શકે છે.

સામે આવી રહેલા અહેવાલો અનુસાર, કર્ણાટકમાં બીજેપીની કારમી હાર બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે કર્ણાટક બીજેપી અધ્યક્ષ નલિન કુમાર કાતિલને બદલવાનો સંકેત આપ્યા છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ નલિન કુમારે તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.
પાર્ટીએ દક્ષિણ કન્નડથી ત્રણ વખત લોકસભા સાંસદ રહેલા કાતિલને ઓગસ્ટ 2019માં ત્રણ વર્ષ માટે રાજ્યની જવાબદારી સોંપી હતી. તેમને ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
બીજેપીની કારમી હાર બાદ ધારવાડથી લોકસભા સભ્ય અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, બીજેપી ધારાસભ્ય દળ પક્ષના પ્રતિનિધિની હાજરીમાં ચર્ચા બાદ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અંગે નિર્ણય કરશે.
તેમણે આગળ કહ્યું કે, કાતિલનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને જવાબદારી સોંપાઈ હતી. આગળનો નિર્ણય અમારા નેતાઓ દ્વારા લેવાશે.
બીજેપીની ખરાબ હાર મુદ્દે પ્રહલાદ જોશીએ કહ્યું કે, પાર્ટી આત્મમંથન કરશે. અમે પહેલા જ કહી ચૂક્યા છીએ કે બીજેપી માટે આ સૌથી નિરાશાજનક પરિણામ છે. ચૂંટણીમાં આવી ઘટનાઓ બને છે. અમારે કારણ શોધવું પડશે.












Click it and Unblock the Notifications
