પંજાબમાં મળેલી ડ્રગ્સ આવી હતી ગુજરાતના રસ્તે, કેજરીવાલે પૂછ્યુ - આ ધંધાના માલિક કોણ?
રવિવારે પંજાબ પોલીસે ડ્રગ્સનુ એક કન્સાઈનમેન્ટ ઝડપ્યુ હતુ જે દરિયાઈ માર્ગે ગુજરાતમાં આવ્યુ હતુ ત્યારબાદ તે પંજાબ પહોંચી ગયુ. હવે કેજરીવાલે આના પર સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીની નજર હવે સંપૂર્ણ રીતે ગુજરાત પર છે જ્યાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેના કારણે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે છે. આ સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ ત્યાં મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. રવિવારે પંજાબ પોલીસે ડ્રગ્સનુ એક કન્સાઈનમેન્ટ ઝડપ્યુ હતુ જે દરિયાઈ માર્ગે ગુજરાતમાં આવ્યુ હતુ ત્યારબાદ તે પંજાબ પહોંચી ગયુ. હવે કેજરીવાલે આના પર સવાલ ઉઠાવ્યા છે.

વાસ્તવમાં, ડીજીપી પંજાબે એક ટ્વીટમાં જણાવ્યુ હતુ કે શહીદ ભગતસિંહ નગરમાં 38 કિલો હેરોઈન ઝડપાયુ હતુ જે દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યુ હતુ. આ પછી તે ટ્રક દ્વારા પંજાબ પહોંચ્યુ હતુ. આ કેસમાં બે દાણચોરોની ધરપકડ કરવામાં આવી છે જેનો મુખ્ય આરોપી ગેંગસ્ટર સોનુ ખત્રી છે. આ ટ્વીટને રીટ્વીટ કરતા કેજરીવાલે લખ્યુ કે ગુજરાતમાં આટલા મોટા પાયે ડ્રગ્સ કોણ લાવી રહ્યું છે? આ વ્યવસાયનો માલિક કોણ છે? વિચારો કે પકડાયા વિનાનુ દરરોજ કેટલુ બહાર નીકળી રહ્યુ છે. શું ટોચના લોકોની મિલીભગત વિના આટલા મોટા પાયા પર ડ્રગ્સનો ધંધો શક્ય છે? તમે દેશના યુવાનોને અંધકારમાં ધકેલી રહ્યા છો.
'ભાજપ સામેનુ અભિયાન જનઆંદોલનમાં ફેરવાયુ'
બીજી તરફ કેજરીવાલે રવિવારે દાવો કર્યો હતો કે તેમણે ગુજરાતમાં શરૂ કરેલી ઝુંબેશ હવે જન આંદોલનમાં ફેરવાઈ ગઈ છે. તેમણે કહ્યુ કે ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમણે એક અભિયાન શરૂ કર્યુ હતુ જે ત્યાંના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 'જનઆંદોલન'માં ફેરવાઈ ગયુ છે. બીજી તરફ આપના ગુજરાત યુનિટના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કચ્છમાં પીએમ મોદીની રેલી પર નિશાન સાધ્યુ હતુ. તેમણે ટ્વીટર પર લખ્યુ કે 2400 બસો ભરીને લોકોને પીએમની રેલીમાં લાવવામાં આવ્યા હતા પરંતુ અંદરથી દરેક એવી વાત કરી રહ્યા છે કે આપને તક આપવી જોઈએ.












Click it and Unblock the Notifications
