નાભા જેલમાંથી ભાગેલા ખાલીસ્તાની આતંકી હરમિંદર સિંહ મિંટુની દિલ્હીથી ધરપકડ
પંજાબની નાભા જેલમાંથી રવિવારે ભાગેલા ખાલીસ્તાની લિબરેશન ફોર્સના ખૂંખાર આતંકવાદી ચીફ હરમિંદર સિંહ મિંટુને દિલ્હી પોલિસે દબોચી લીધો છે...
પંજાબની નાભા જેલમાંથી રવિવારે ભાગેલો ખાલીસ્તાન લિબરેશન ફોર્સનો ખૂંખાર આતંકી ચીફ હરમિંદર સિંહ મિંટુ દિલ્હીમાંથી પકડાઇ ગયો છે. દિલ્હી પોલિસની એક સ્પેશિયલ ટીમે મિંટુને દબોચી લીધો છે. રવિવારે પંજાબની નાભા જેલ પર 10 હથિયારધારી લોકોએ હુમલો કર્યો હતો અને ખાલીસ્તાની સંગઠનના ચીફ હરમિંદર સિંહ મિંટુ સહિત 6 ગેંગસ્ટરને છોડાવી ગયા હતા. 10 હથિયારધારીઓ પોલિસના યુનિફોર્મમાં હતા. તેમણે નાભા જેલ પર હુમલો કર્યો અને લગભગ 100 રાઉંડ અંધાધૂંધ ગોળીબાર કર્યો.
દિલ્હીના કોઇ રેલવે સ્ટેશનથી પકડાયો
આતંકીઓ ભાગી ગયા બાદ પંજાબ સહિત દેશના ઘણા રાજ્યોમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ. સૂત્રોની માનીએ તો મિંટુને દિલ્હીના કોઇ રેલવે સ્ટેશનથી પકડવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે પંજાબ પોલિસે નવેમ્બર 2014 માં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇંટરનેશનલ એરપોર્ટ પરથી થાઇલેંડથી આવી રહેલ ખાલીસ્તાની ચીફ હરમિંદર સિંહ મિંટુની ધરપકડ કરી હતી.
ડેરા સચ્ચા સૌદા ગુરમીત રામ રહીમ સિંહ પર હુમલો
ઓછામાં ઓછી 10 આતંકવાદી ઘટનાઓમાં શામેલ ખાલીસ્તાની આતંકી પ્રમુખ હરમિન્દર સિંહ મિંટુની પોલિસ તપાસ કરી રહી હતી. 2008 માં ડેરા સચ્ચા સૌદા ગુરમીત રામ રહીમ સિંહ પર હુમલો અને 2010 માં લુધિયાના પાસે હલવારા એરફોર્સ સ્ટેશન પાસે વિસ્ફોટકો રાખવાના કેસમાં હરમિન્દર સિંહ મિંટુ શામેલ હતો. પંજાબમાં શિવસેનાના ત્રણ નેતાઓની હત્યાનું ષડયંત્ર રચવાના કેસમાં તે પણ દોષિત હતો.
ખાલીસ્તાન લિબરેશન ફોર્સનો ચીફ
ખાલીસ્તાન લિબરેશન ફોર્સનો મેમ્બર બનતા પહેલા 49 વર્ષનો હરમિન્દર સિંહ મિંટુ આતંકી સંગઠન બબ્બર ખાલસાનો સભ્ય હતો જેનો લીડર વાધવા સિંહ હતો. બાદમાં બબ્બર ખાલસાથી અલગ થઇને તે ખાલીસ્તાન લિબરેશન ફોર્સનો ચીફ બની ગયો.
પાકિસ્તાનના આઇએસઆઇ પાસે ટ્રેનિંગ
ભારતની સુરક્ષા એજંસીઓનું કહેવુ છે કે પાકિસ્તાનની ખુફિયા એજંસી આઇએસઆઇ સાથે પણ હરમિન્દર સિંહ જોડાયેલો છે. આઇએસઆઇ પાસે હરમિન્દર ટ્રેનિંગ લઇ ચૂક્યો છે અને આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે તેણે ફંડની પણ મદદ લીધી. તે ઘણી વાર પાકિસ્તાન ગયો છે.
યુપીમાંથી પહેલી ધરપકડ
આ પહેલા રવિવારે જ જેલમાંથી ભાગેલા એક ગેંગસ્ટરની ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી.. સવારથી જ યુપી પોલિસ હાઇ એલર્ટ પર હતી ત્યારબાદ સાંજે તેમને સફળતા મળી અને જેલબ્રેકના એક આરોપીની ભારે માત્રામાં હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી.
આ આખા કાંડમાં ગુનેગારો અને ખાલીસ્તાનના એક આતંકીને ભાગવામાં મદદ કરવાના આરોપમાં પરમિંદર સિંહની યુપી પોલિસે શામલીમાંથી ધરપકડ કરી લીધી છે. પોલિસે તેની પાસેથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.
યુપી પોલિસના એડીજી દલજીત સિંહ ચૌધરીએ પોતે આ વાતની જાણકારી આપી. એએનઆઇ સાથે વાત કરતા તેમણે કહ્યુ કે આરોપી પરમિંદરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેમણે જણાવ્યુ કે તેને નાભા જેલ વિશે પૂરેપૂરી જાણકારી હતી. તે દોઢ મહિના પહેલા આ જેલમાંથી ભાગ્યો હતો.