Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ મોદીએ કડવા પાટીદાર સમાજના સનાતની શતાબ્દી મહોત્વને કર્યુ સંબોધન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા દ્વારા આયોજિત સનાતની શતાબ્દી મહોત્સવમાં દ્વિતીય દિવસે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને રાષ્ટ્ર ગૌરવ સમારોહ નિમિત્તે સંબોધન કર્યું હતું.

NARENDRA MODI

વડાપ્રધાનએ કહ્યું કે, કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. ભારતના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં કચ્છીમાડુઓની હાજરી અચૂક હોય જ છે. "કચ્છડો ખેલે ખલક મેં..." ઊક્તિ સાથે સંબોધન કરતાં વડાપ્રધાનએ જણાવ્યુ હતું કે, આજે મારા માટે સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ છે કારણ કે શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે. વડાપ્રધાનએ મંચ પરથી શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યને પ્રણામ કર્યા હતા.

વડાપ્રધાનએ વધુમાં કચ્છી કડવા પાટીદાર સમાજની સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, સમાજની સેવાના ૧૦૦ વર્ષનો પુણ્યકાળ, યુવા પાંખના ૫૦ વર્ષ અને મહિલા પાંખના ૨૫ વર્ષ પૂર્ણાહુતિનો આ ત્રિવેણી સંગમ એક સુખદ સંયોગ છે. જ્યારે કોઈ પણ સમાજના યુવાનો, માતાઓ બહેનો પોતાના સમાજની જવાબદારી પોતાના જ ખભા પર લે છે ત્યારે માની લેવું જોઈએ એ સમાજની સફળતા અને સમૃદ્ધિ નક્કી થઈ જાય છે. આનંદ સાથે વડાપ્રધાનએ કહ્યું કે સનાતન માત્ર એક શબ્દ નથી પણ નિત્ય નૂતન છે, પરિવર્તનશીલ છે. જેમાં વીતેલી કાલથી પોતાને વધારે સક્ષમ બનાવવાની ચેષ્ટા છે. આથી જ સનાતન અજર અમર છે.

કોઈપણ રાષ્ટ્રની યાત્રા તેના સમાજની યાત્રાનું જ એક દર્શન હોય છે. પાટીદાર સમાજનો અનેક વર્ષોનો ઈતિહાસ, ૧૦૦ વર્ષની કચ્છ કડવા પાટીદાર સમાજની યાત્રા અને ભવિષ્યનું વિઝન એ ભારત અને ગુજરાતને જાણવા અને જોવાનું માધ્યમ પણ છે. સેંકડો વર્ષો પૂર્વે આ સમાજ પર વિદેશ આક્રમણકારોએ અત્યાચાર કર્યા છે. આમ છતાં સમાજના પૂર્વજોએ પોતાની ઓળખાણ બનાવી રાખીને પોતાની આસ્થાને ખંડિત થવા દીધી નથી. આજે આપણે સદીઓ પહેલાના ત્યાગ અને બલિદાનના પ્રભાવને સફળ સમાજની પેઢી તરીકે જોઈ રહ્યા છીએ. આજે કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો દેશ-વિદેશમાં પોતાની સફળતાની ધ્વજ પતાકા લહેરાવી રહ્યા છે. તેઓ જ્યાં પણ છે ત્યાં પોતાના શ્રમ અને સામર્થ્યથી આગળ વધી રહ્યા છે.

ટીમ્બર, પ્લાયવૂડ, હાર્ડવેર, માર્બલ હોય કે પછી બિલ્ડીંગ મટીરિયલ હોય તમામ સેક્ટરમાં પાટીદાર સમાજ છવાયેલો છે. વડાપ્રધાનએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ બધાની વ્યવસાયની સાથે જ તમે પેઢી દર પેઢી, વર્ષોથી પોતાની પરંપરાનું માન વધાર્યું છે. આ સમાજે પોતાના વર્તમાનનું નિર્માણ કરીને પોતાના ભવિષ્યનો‌ પાયો નાખ્યો છે.

વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે, આ સમાજ પાસેથી તેઓએ ઘણુંબધું શીખ્યું છે. ગુજરાત મુખ્યમંત્રી તરીકે એ સમયે અનેક વખત કચ્છ પાટીદાર સમાજની સાથે કામ કરવાનો અવસર મળ્યો એ વાતનો વડાપ્રધાનએ હર્ષ વ્યક્ત કર્યો હતો.

કચ્છના ભૂકંપની મુશ્કેલ પરિસ્થિતિના સમયને યાદ કરીને વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, રાહત બચાવના લાંબા પ્રયાસોમાં સમાજની તાકાતના લીધે જ મને હંમેશા આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો હતો. એક સમય હતો જ્યારે કચ્છ દેશના સૌથી પછાત જિલ્લામાંથી એક હતો. પાણીની તંગી, ભૂખમરો, પશુઓના મોત, લોકોનું પલાયન વગેરે ખરાબ પરિસ્થિતિ જ કચ્છની ઓળખાણ હતી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સાથે મળીને કચ્છની કાયાકલ્પ કરી દીધી છે. આપણે સૌએ સાથે મળીને કચ્છના પાણી સંકટના નિવારણ માટે કામ કર્યું છે. આપણે સૌએ સાથે મળીને જે રીતે કચ્છને વિશ્વમાં પ્રવાસનનું હબ બનાવ્યું છે તે એક ઉત્તમ ઉદાહરણ છે. આજે મને જોઈને ગર્વ થાય છે કે કચ્છ દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા જિલ્લામાંથી એક છે. કચ્છની કનેક્ટિવિટી સુધરી રહી છે, મોટા મોટા ઉદ્યોગો આવી રહ્યા છે. જે કચ્છમાં એક સમયે ખેતીનો વિચાર પણ ના કરી શકાય એવી સ્થિતિ હતી. આજે એ જ કચ્છમાંથી ખેતી પેદાશોની દુનિયામાં નિકાસ થઈ રહી છે.

નારાયણ રામજી લીંબાણીનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ કહ્યું કે, હું એમના જીવનમાંથી ખૂબ પ્રેરિત થયો છું. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજને આગળ વધારનારા અનેક લોકોથી મારો વ્યક્તિગત આત્મિય સંબંધ પણ રહ્યો છે.

કોરોનાના સમય દરમિયાન કચ્છ કડવા પાટીદાર સમાજની સેવાકીય કામગીરીને વડાપ્રધાનએ બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ સનાતની શતાબ્દી મહોત્સવની સાથે સમાજે આગામી ૨૫ વર્ષ સુધીનું વિઝન નક્કી કર્યું છે. આ સમાજના ૨૫ વર્ષના સંકલ્પ પૂર્ણ થશે ત્યારે દેશ આઝાદીના ૧૦૦મા વર્ષની ઉજવણી કરી રહ્યો હશે. કચ્છ કડવા પાટીદાર સમાજે ઈકોનોમીથી માંડીને ટેક્નોલોજી સુધી, સામાજિક સમરસતાથી માંડીને પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી માટે જે સંકલ્પ લીધા છે તે દેશના અમૃત સંકલ્પો સાથે સંકળાયેલા છે. તેઓએ વિશ્વાસ‌ સાથે ઉમેર્યું હતું કે, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રયાસો દેશના સંકલ્પને તાકાત આપીને સિદ્ધિ સુધી પહોંચાડશે.

મુખ્યમંત્રી આ સનાતની શતાબ્દિ મહોત્સવના દ્વિતિય દિવસના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત' બનાવવાની હાકલ કરી છે. ત્યારે 'એક ભારત'ના નિર્માણ માટે સામાજીક એકતા અનિવાર્ય છે. આપણું લક્ષ્ય એક બની, નેક બની 'શ્રેષ્ઠ ભારત', 'વિકસિત ભારત'ના નિર્માણમાં યોગદાન આપવાનું છે. આ સનાતની શતાબ્દી મહોત્સવ સામાજીક એકતાને સુદ્રઢ કરવાની પીઠીકા સમાન છે. આ શતાબ્દી મહોત્સવથી સામાજિક એકતાનું લક્ષ્ય જરૂર પાર પડશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છના કડવા પાટીદારોએ તેમની મહેનત અને આવડતથી વિશ્વભરમાં નામના મેળવી છે. સમજણ, સંસ્કાર અને સાહસને વરેલા આ સમાજે ભૂતકાળમાં કઠીન સંજોગોમાં પણ મૂળ ધર્મની, સનાતનની જ્યોત પુન: પ્રગટાવી મૂળ ધર્મ તરફ પાછા વળવાનું ક્રાંતિકારી પગલું ભર્યુ હતું. કરાચી ખાતે પરિષદના માધ્યમથી શરૂ થયેલી આ સનાતની જ્યોત આજે વિરાટ મશાલ બની છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ધર્મ શુદ્ધી અને સામાજીક શુદ્ધી માટે આ સનાતની પરંપરા શરૂ કરનારા સનાતની પાટીદાર રત્નોને વંદન કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, પાટીદાર રત્નોના પરિશ્રમ અને શૌર્યથી એક વિશાળ સમુદાય ઉત્કર્ષના સાચા માર્ગે ચાલી રહ્યો છે. આ મહોત્સવ યુવાનો, મહિલાઓ, અબાલવૃદ્ધ સૌ કોઇ માટે સાંસ્કૃતિક-સામાજીક પ્રગતિનો મંચ બની રહેશે. વડાપ્રધાનએ સૌને સાથે રાખીને ચાલવાની દિશા આપણને ચિંધી છે. ત્યારે આ મહોત્સવથી સમાજની એકતા ઉજાગર થઈ રહી હોવાનો ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી રૂપાલા આ પ્રસંગે મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે દેશ અને કચ્છની સંસ્કૃતિને વિશ્વમાં જીવંત રાખી છે. તેમણે પાટીદાર સમાજને હિન્દુ સમાજની કરોડરજ્જુ ગણાવીને પાટીદાર સમાજને સમાજના સારા પ્રસંગો સાથે પર્યાવરણને જોડવા આહવાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ એટલે કાયમી ધર્મ. તેઓએ પાટીદાર સમાજે હિન્દુ સમાજની કરોડરજ્જુને સ્થિર રાખવા આવનારી પેઢી સુધી વડીલોની મહેનત, ધીરજ, સાહસ અને સંસ્કારના ગુણ જતનપૂર્વક પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે ખેડૂતોને પાણી બચાવવા ટપક પદ્ધતિનો ઉપયોગ કરવા તેમજ સમગ્ર સમાજને પાણી, વીજળી, ઈંધણ વગેરેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ પાટીદાર સમાજને સાહસનો પર્યાય ગણાવીને સર્વે પાટીદારોને વતનપ્રેમ માટે બિરદાવ્યા હતા.

વધુમાં રૂપાલાએ પાટીદાર સમાજની સિદ્ધિઓની પ્રસંશા કરતાં ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજે પોતાની મૂળ પરંપરાને જાળવી રાખી છે અને સામાજિક એકતાનો એક પરિચય બતાવ્યો છે. દુનિયામાં ખૂણે-ખૂણે ફેલાયેલા બંધુઓને એક તાંતણે બાંધી રાખવાની પાટીદાર સમાજની ભાવના અનન્ય છે. આર્થિક વિકાસની સાથે સમાજના સેવાના કાર્યોમાં અગ્રેસર પાટીદાર સમાજની શ્રી રૂપાલાએ પ્રસંશા કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X