એર એમ્બ્યુલન્સથી દિલ્લી પહોંચ્યા લાલુ પ્રસાદ યાદવ, એઈમ્સમાં થઈ રહ્યો છે ઈલાજ
લાલુ પ્રસાદ યાદવને એર એમ્બ્યુલન્સ દ્વારા પટનાથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. હાલમાં તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ થોડા દિવસ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ઈજા થઈ હતી. જે બાદ તેમને પટનાની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત નાજુક રહી હતી. જેના કારણે બુધવારે સાંજે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા પટનાથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. હાલમાં તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની વધુ સારવાર ચાલી રહી છે.
વાસ્તવમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ 3 જુલાઈના રોજ સીડી પરથી પડી ગયા હતા. જેના કારણે તેમને હાથ અને ખભાના ભાગે ઈજાઓ થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાલુ યાદવના ફેફસામાં પાણી ભરાઈ ગયુ છે. પારસ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ બાદમાં ડૉક્ટરોએ તેમને દિલ્હી રીફર કરી દીધા હતા. તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને પુત્રી મીસા ભારતી પણ તેમની સાથે દિલ્હી આવ્યા છે. જો કે, પારસ હૉસ્પિટલના ડૉક્ટરો કહી રહ્યા છે કે તેમની હાલતમાં ઘણો સુધારો થયો છે માટે ગભરાવા જેવુ કંઈ નથી.
વળી, તેજસ્વી યાદવે કહ્યુ કે તેમના પિતા લાલુ યાદવને સારી સારવાર માટે દિલ્હી લાવવામાં આવ્યા છે. ત્યાં તેમની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. જરૂર પડશે તો તે તેમને સિંગાપોર પણ લઈ જવામાં આવશે. અગાઉ તેમણે દરેકને હૉસ્પિટલમાં ન આવવાની અપીલ કરી હતી કારણ કે આનાથી તેમના પિતા અને પરિવારને મુશ્કેલી થઈ રહી હતી.
બિહાર સરકાર ઉઠાવશે પૂરો ખર્ચ
બુધવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ પારસ હૉસ્પિટલ પહોંચ્યા હતા અને લાલુ પ્રસાદ યાદવની તબિયતની અપડેટ લીધી હતી. તેમણે તેમના ઝડપી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરી. સાથે જ જાહેરાત કરી હતી કે તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ બિહાર સરકાર ઉઠાવશે. નીતિશ કુમારે કહ્યુ કે આ લાલુ પ્રસાદ યાદવનો અધિકાર છે માટે તેમણે આ નિર્ણય લીધો છે. આના એક દિવસ પહેલા મંગળવારે પીએમ મોદીએ તેજસ્વીને ફોન કરીને પૂર્વ સીએમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.