સંસદમાં જરૂરી ચર્ચા વગર કાનૂન પાસ થઈ રહ્યા છે: ચીફ જસ્ટિસ રમના
આઝાદીની ઉજવણી પ્રસંગે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી. રમનાએ સંસદની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. સંસદમાં હંગામાનો ઉલ્લેખ કરતા તેમણે સંસદીય ચર્ચાઓ પર ચિંતા વ્યક્ત કરી.
આઝાદીની ઉજવણી પ્રસંગે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી. રમનાએ સંસદની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. સંસદમાં હંગામાનો ઉલ્લેખ કરતા તેમણે સંસદીય ચર્ચાઓ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે હવે સંસદમાં ચર્ચાઓ થતી નથી. તેમણે કહ્યું કે ઘણા કાયદા સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે, જેમાં ઘણી ખામીઓ હતી. પહેલાના સમય સાથે સરખામણી કરતા મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનએ કહ્યું કે ત્યારે સંસદના બંને ગૃહો વકીલોથી ભરેલા હતા, પરંતુ હાલની પરિસ્થિતિ અલગ છે. તેમણે કાનૂની સમુદાયના લોકોને પણ જાહેર સેવા માટે તેમનો સમય ફાળવવા કહ્યું.
CJI રમનાએ કહ્યું કે હવે યોગ્ય ચર્ચા વગર કાયદાઓ પસાર કરવામાં આવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, જો તમે તે દિવસોમાં ગૃહોમાં થતી ચર્ચાઓ પર નજર નાખો તો તે ખૂબ જ બૌદ્ધિક અને રચનાત્મક હતા અને જે પણ કાયદા બનતા તેની ચર્ચા થતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ ખેદજનક છે. જો આપણે કાયદા પર નજર કરીએ તો આપણને જાણવા મળે છે કે કાયદા ઘડવામાં ઘણી છટકબારીઓ છે અને તેમાં ઘણી અસ્પષ્ટતા છે.
તેમણે વધુમાં કહ્યું કે હાલ કાયદામાં કોઈ સ્પષ્ટતા નથી. કાયદાઓ કયા હેતુ માટે બનાવવામાં આવે છે તે આપણે જાણતા નથી. આનાથી ઘણા કેસ, અસુવિધા અને લોકોને નુકસાન થાય છે. ગૃહોમાં બુદ્ધિજીવીઓ અને વકીલો જેવા વ્યાવસાયિકો ન હોય તો આવું જ થાય છે.
જણાવી દઈએ કે ભૂતકાળમાં પેગાસસ જાસૂસી કૌભાંડથી લઈને ખેડૂતોના મુદ્દે રાજ્યસભામાં ઘણો હંગામો થયો હતો. વિપક્ષી સાંસદો ખેડૂતોને લગતા કૃષિ કાયદા પરત લેવા પર અડગ હતા. સાંસદોએ નિયમાવલીઓને ઉછાળી હતી. તે ઉપરાંત માર્શલો દ્વારા મહિલા સાંસદોને માર મારવાનો પણ આરોપ લાગ્યો હતો. સંસદમાં હંગામાને કારણે ચોમાસુ સત્ર અકાળે મુલતવી રાખવું પડ્યું હતું.