વકીલ-પોલીસ વિવાદઃ દિલ્હી હાઈકોર્ટે ગૃહ મત્રાલયની અરજી ફગાવી
વકીલ-પોલીસ વિવાદઃ દિલ્હી હાઈકોર્ટે ગૃહ મત્રાલયની અરજી ફગાવી
નવી દિલ્હીઃ દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં 2 નવેમ્બરે વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે થયેલ હિંસક અથડામણને લઈ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે. ગૃહ મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટને બબાલ મામલે વકીલો પર કાર્યવાહી ન કરવાના સંબંધી આદેશને લઈ સ્પષ્ટીકરણ માંગ્યું હતું, જે બાદ અદાલતે કાઉંસિલ ઑફ ઈન્ડિયા તથા અન્ય બાર કાઉન્સિલોને નોટિસ પાઠવી હતી. બુધવારે આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે ગૃહ મંત્રાલયની અરજી ફગાવી દીધી છે.
દિલ્હી હાઈકોર્ટે ગૃહ મંત્રાલય સિવાય પોલીસની અરજી પણ ફગાવી દીધી, જેમાં સાકેત કોર્ટના મામલાને લઈ વકિલો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની મંજૂરી માંગવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ મામલે બે પોલીસ ઑફિસરનું સસ્પેન્શન પણ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
તીસ હઝારી કોર્ટ પરિસરમાં થયેલ બબાલ મામલે વકીલો પર કોઈપણ પ્રકારની કાર્યવાહી અને ધરપકડ કરવા પર રોક લગાવતા દિલ્હી હાઈકોર્ટના ફેસલા પર ગૃહ મંત્રાલયે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને સ્પષ્ટીકરણ માંગ્યું હતું. જેને આજે અદાલતે ફગાવી દીધું.
જણાવી દઈએ કે તીસ હજારી કોર્ટમાં 2 નવેમ્બરે પોલીસ અને વકીલો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં આગચંપી, મારપીટ અને ગોળીબારની ઘટનાઓ પણ સામે આવી હતી. બંને તરફથી એકબીજા પર હિંસક હુમલા કરવા અને મારપીટના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ મામલે કેટલાક વકીલો ઘાયલ થયા હતા જ્યારે કેટલાય વાહનોને આગને હવાલે કરી દેવામાં આવ્યા હતા. જે બાદ ક્યારેક વકીલો તો ક્યારેક પોલીસવાળા રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરતા રહ્યા છે. પહેલા વકીલોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું તો મંગળવારે દિલ્હી પોલીસના જવાન આઈટીઓ સ્થિત પોલીસ મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા, 11 કલાકથી વધુ પ્રદર્શન ચાલ્યું. બુધવારે ફરી એકવાર વકીલો દિલ્હીની પાંચ અદાલતોમાં વિરોધ નોંધાવી રહ્યા છે.
આ મામલે બાર કાઉંસિલ ઑફ ઈન્ડિયાએ બુધવારે કહ્યું હતું કે મંગળવારે જે રીતે દિલ્હી પોલીસે પ્રદર્શન કર્યું તે શર્મનાક છે. આ આઝાદ ભારતના ઈતિહાસનો કાળો દિવસ છે. કાઉંસિલે એક અઠવાડિયાની અંદર આરોપી પોલીસકર્મીની ધરપકડની માંગણી કરી છે.
પોલીસ-વકીલ વચ્ચે મારામારીઃ કોર્ટની બહાર વકીલે આપઘાતની કોશિશ કરી