મુઝફ્ફરનગર રમખાણ પીડિત યુવકો પર 'લશ્કર'ની હતી નજર: રિપોર્ટ
નવી દિલ્હી, 7 જાન્યુઆરી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની એ વાત સાચી સાબિત થતી દેખાઇ રહી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ મુઝફ્ફરનગર રમખાણો પીડિત યુવકોના સંપર્કમાં છે. લશ્કર-એ-તૈયબાના લોકલ મોડ્યૂલ સાથે જોડાયેલા લોકોએ પૂછપરછમાં ચોંકાવનારા ખૂલાસા કર્યા છે. આ ખુલાસાની સાથે જ પોલીસે દરોડા પાડવાનું પણ શરૂ કરી દીધું છે. દિલ્હી પોલીસની એક ટીમે મુઝફ્ફરનગરના શામલીમાં રાહત શિબિર પર દરોડો પાડ્યો હતો. પોલીસે મુઝફ્ફરનગરમાં પણ દરોડા પાડ્યા છે.
સૂત્રોની માનીએ તો દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના હાથે પકડાયેલા લોકોએ પૂછપરછમાં આવી ચોંકાવનારી જાણકારી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લશ્કરની નજર મુઝફ્ફરનગરના રમખાણ પીડિત યુવકો પર હતી. આ લોકોએ કેટલાંક રમખાણ પીડિત યુવકોને લશ્કરમાં સામેલ કરવા માટે સંપર્ક પણ કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લશ્કરની વાતોમાં આવીને રમખાણ પીડિત બે યુવક સંગઠન સાથે જોડાવા માટે તૈયાર પણ થઇ ગયા હતા. સૂત્રો જણાવે છે કે સ્પેશિયલ સેલે આ બંને યુવકોને શોધી પણ લીધા છે. પરંતુ પોલીસે હજી સુધી તેમને પકડ્યા નથી, કારણ કે તેમને સાક્ષી તરીકે પોલીસ કોર્ટમાં રજૂ કરવા માગે છે.
બતાવી દઇએ કે રાહુલ ગાંધીએ ઓક્ટોબરમાં એક રેલીમાં દાવો કર્યો હતો કે આઇએસઆઇ મુઝફ્ફરનગર રમખાણ પીડિતોને ગેરમાર્ગે દોરવાની કોશીશમાં છે. તેમના નિવેદન પર ત્યારે ખૂબ જ રાજનૈતિક ઘમાસાણ મચી ગઇ હતી. ભાજપ અને સપાએ તેમની પર ખૂબ હુમલો કરીને મુસ્લિમ યુવકોને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.