Lok Sabha Election 2024: બિહારમાં મહાગઠબંધનની બેઠકો ફાઇનલ, કોંગ્રેસને મળી માત્ર આટલી સીટ
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના જાહેરાત થયા બાદથી સૌની નજર બિહાર પર ટકેલી હતી. લાંબી રાહ બાદ ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. મહાગઠબંધને લોકસભા ચૂંટણી માટે બેઠકની વહેચણી કરી છે. મહાગઠબંધનની મુખ્ય પાર્ટી રાષ્ટ્રીય જનતા દળને 26 બેઠકો મળી છે, જેમાં તે પોતાના ઉમેદવારો જાહેર કરશે.
આવા સમયે કોંગ્રેસ 9 બેઠકો પર ઉમેદવારો ઉભા કરી શકશે, CPI(ML) ત્રણ બેઠકો પર જ્યારે CPI(M) અને CPI દરેક એક બેઠક પર ઉમેદવારો ઉભા કરી શકશે. શુક્રવારના રોજ પટનામાં રાષ્ટ્રીય જનતા દળના કાર્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહાગઠબંધનની બેઠકોની જાહેરાત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય જનતા દળે શુક્રવારના રોજ મહાગઠબંધન દ્વારા બોલાવવામાં આવેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં બેઠક વહેંચણીની જાહેરાત કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય જનતા દળ ગયા, નવાદા, જહાનાબાદ, ઔરંગાબાદ, બક્સર, પાટલીપુત્ર, મુંગેર, જમુઈ, બાંકા તેમજ વાલ્મિકી નગર બેઠક પરથી ચૂંટણી લડશે.
આ 10 બેઠકો ઉપરાંત પૂર્વ ચંપારણ, શિયોહર, સીતામઢી, વૈશાલી, સારણ, સિવાન, ગોપાલગંજ, ઉજિયારપુર, દરભંગા, મધુબની અને જહાનાબાદમાં પણ આરજેડીના ઉમેદવારો હશે. ઝંઝારપુર, સુપૌલ, મધેપુરા, પૂર્ણિયા, અરરિયા અને હાજીપુર સીટ પણ આરજેડીના ક્વોટામાં આવી છે.
રાષ્ટ્રીય જનતા દળે કિશનગંજ, કટિહાર, ભાગલપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, પશ્ચિમ ચંપારણ, પટના સાહિબ, સાસારામ તેમજ મહારાજગંજની બેઠકો તેના મુખ્ય સહયોગી કોંગ્રેસને આપી છે.
સીપીઆઈ(એમએલ) અરાહ, કરકટ અને નાલંદાથી ચૂંટણી લડશે, જ્યારે સીપીઆઈ બેગુસરાઈથી અને સીપીએમ ખાગરિયા બેઠક પરથી ચૂંટણી લડશે. CPI(ML)ને વિધાનસભા પેટાચૂંટણી માટે આગિયાઓન બેઠક પણ મળી છે.
મનોજ ઝાએ મુકેશ સાહનીને લગતા સવાલ પર કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગઠબંધન પાર્ટીઓ સાથે છે વ્યક્તિઓ સાથે નહીં. આ સાથે જ તે પપ્પુ યાદવ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
