Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી દરમિયાન અદાણી પર થઈ રહેલી રાજનીતિ કોર્ટ સુધી પહોંચી, રાહુલ-મોદી આરોપી
લોકસભા ચૂંટણીમાં અદાણીને લઈને રાજનીતિ થઈ રહી છે. રાહુલ ગાંધી સતત અદાણીનું નામ લઈને નરેન્દ્ર મોદી પર આરોપ લગાવે છે. હવે આ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે.
અદાણી જૂથ પર અપમાનજનક ટિપ્પણીને કારણે પીએમ મોદી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. પીએમ મોદી અને રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

પીટીશનમાં માંગણી કરવામાં આવી છે કે વડાપ્રધાન અને કોંગ્રેસના નેતાને ખોટા, બનાવટી અને ભ્રામક ભાષણો કરવાથી અને અદાણી ગ્રુપ પર આક્ષેપો કરતા રોકવામાં આવે.
અરજદારે ચૂંટણી રેલીઓમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીના ભાષણોને ટાંક્યા અને કોર્ટને અદાણી જૂથ વિરુદ્ધ કોઈપણ અપમાનજનક ટિપ્પણી કરવાથી રોકવાની માંગ કરી.
અરજીમાં ટાંક્યું કે, આવા ભાષણો અદાણી જૂથના બજાર મૂલ્ય અને રોકાણકારોના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. અરજી દાખલ કરનાર વ્યક્તિએ પોતાને સામાજિક કાર્યકર, ખેડૂત અને શેરબજારમાં રોકાણકાર ગણાવ્યો છે.
અરજદારે તેલંગાણાના કરીમનગરમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીના નિવેદનોનો ઉલ્લેખ કર્યો. આ રેલીમાં પીએમ મોદીએ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસીઓએ અંબાણી-અદાણીનું નામ લેવાનું બંધ કરી દીધું છે કારણ કે તેમને અંબાણી-અદાણીએ લાંચ આપી હશે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિવાદી નંબર 2 (પીએમ મોદી) દ્વારા ઉદ્યોગપતિઓ સામે કરાયેલા આક્ષેપોને પ્રતિવાદી નંબર 1 (રાહુલ ગાંધી) દ્વારા વિકૃત કરવામાં આવ્યા છે.
આવા ખોટા, બનાવટી અને ભ્રામક નિવેદનો ભારતીય શેરબજારમાં રોકાણ કરતા સામાન્ય રોકાણકારોમાં મૂંઝવણ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે ઉદ્યોગપતિઓની કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના કારણે રોકાણકારો અને વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
