લોકસભા ચૂંટણીઓ નવેમ્બરમાં યોજાઇ શકે : રાજનાથ
મહારાષ્ટ્રના દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર મરાઠવાડાની મુલાકાત લીધા બાદ મુંબઇમાં્ તેમણે પાર્ટીના ધારાસભ્યોને સંબોધિત કરતા કહ્યું કે મારું માનવું છે કે ચૂંટણીઓ નવેમ્બરમાં આવી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ચાર રાજ્યોમાં ઓક્ટોબર - નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાવા જઇ રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પણ ભલે આવતા વર્ષે હોય પણ આપણે અત્યારથી જ તેની તૈયારી કરવી જોઇએ.
તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા 15 વર્ષોથી અમે શાસનમાં નથી. જે પાર્ટી એક સમયે રાજ્યમાં સત્તામાં હતી, તે જો લાંબા સમય માટે શાસનમાંથી બહાર રહે તો મારું માનવું છે કે આ એક ગંભીર જોખમ છે. આના પરથી એવો સંદેશો દેશના લોકોને મળશે કે આ લોકો ક્યારેય સત્તામાં પાછા આવી શકશે નહીં.
તેમણે જણાવ્યું કે લોકોનો વિશ્વાસ ટકાવી રાખવો જરૂરી છે. કારણ કે જો એકવાર લોકો પાર્ટી ઉપર વિશ્વાસ મૂકવાનું છોડી દેશે પછી તે વિશ્વાસ પાછો મેળવવો મુશ્કેલ છે. અહીંની સરકાર તમામ મોરચે વિફળ રહી છે. લોકો પરિવર્તન ઇચ્છે છે. તેઓ પૂછે છે કે શું ભાજપ પરિવર્તન માટે તૈયાર છે.
ત્યાર બાદ પત્રકારોને સિંહે જણાવ્યું કે અમે વર્તમાન સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરીશું નહીં. મારું માનવું છે કે કોઇ પણ પાર્ટીએ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. કારણ કે તેનું પરિણામ દેશના લોકોએ જ ભોગવવું પડે છે. મહારાષ્ટ્ર ભાજપ દ્વારા આ પ્રસંગે રાજનાથ સિંહને દુષ્કાળ રાહત માટે રૂપિયા 25 લાખનો ચેક આપ્યો હતો. તેમણે આ રકમ રાજ્યના મુખ્યમંત્રીને આપવા જણાવ્યું હતું.