PoKથી 200 આતંકી કાશ્મીરમાં ઘૂસણખોરીની ફિરાકમાં, સીમા પાર ચાલી રહ્યા છે 35 શિબિર
લગભગ 200 આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે સીમા પાર રાહ જોઈ રહ્યા છે
નવી દિલ્લીઃ ઉત્તરી સેનાના કમાંડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે નૉર્થ ટેક સંગોષ્ઠીમાં ભાગ લીધો. આ દરમિયાન તેમને કાશ્મીર ઘાટીમાં આતંકી ગતિવિધિઓને લઈને સવાલ પૂછવામાં આવ્યા. જેના પર લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યુ કે લગભગ 200 આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે સીમા પાર રાહ જોઈ રહ્યા છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધી કાશ્મીરમાં 21 વિદેશી આતંકીઓને ઠાર કરવામાં આવ્યા. સાથે જ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનના કેસોમાં પણ ઘટાડો આવ્યો છે.
લેફ્ટનન્ટ જનરલે કહ્યુ કે છેલ્લા 12 મહિનાઓમાં સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન ખૂબ જ ઓછુ થયુ છે. માત્ર 2-3 વાર જ આવુ જોવા મળ્યુ પરંતુ સીમા પર આતંકીઓની સક્રિયતા ચાલુ જ છે. ત્યાં 6 મોટા આતંકી શિબિર અને 29 નાના(કુલ 35) શિબિર સક્રિય હોવાના સમાચાર છે. આતંકવાદી ઢાંચાને જાળવી રાખવા માટે પાકિસ્તાની સેનાને દોષી ગણાવીને લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યુ કે પડોશી દેશની સેના અને તેની એજન્સીઓની મિલીભગતથી ઈનકાર ન કરી શકાય.
તેમણે આગળ જણાવ્યુ કે લગભગ 40-50 આતંકવાદી હજુ પણ ઘાટીની અંદરના વિસ્તારોમાં સક્રિય છે પરંતુ ભારતીય સેના સતત ભટકેલા યુવાનોને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે. લેફ્ટનન્ટના જણાવ્યા મુજબ પાકિસ્તાન સતત ઘાટીના યુવાનોને કટ્ટરતા ફેલાવવા માટે પ્રશિક્ષિત કરી રહ્યુ છે. તેમણે માન્યુ કે અનુચ્છેદ 370 ખતમ થયા બાદ ઘાટીમાં ફેરફાર આવી રહ્યા છે જેમાં ભારતીય સેનાની પણ મહત્વની ભૂમિકા છે.
AfSPA હટાવવામાં આવશે?
ત્યારબાદ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું સશસ્ત્ર બળ વિશેષ અધિકાર અધિનિયમ(AFSPA) જમ્મુ કાશ્મીરમાંથી હટાવવામાં આવશે. તેના પર તેમણે કહ્યુ કે શું તમને લાગે છે કે ઘાટીમાં નિયંત્રણ માટે કેન્દ્રીય બળોની જરુર નથી? AfSPA હટવાથી શું સ્થિતિ સામાન્ય રહેશે? આ જ સવાલ આપણે પૂછવાની જરુર છે. જે દિવસે તમને જવાબ મળી જશે, મને લાગે છે કે AfSPAને હટાવી શકાશે. તેમણે કહ્યુ કે અમરનાથ યાત્રા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આશા છે કે આ વખતે તીર્થયાત્રીઓની સંખ્યા બમણી થઈ જશે.