આસામના સીએમ હિમંત બિસ્વા સરમા બોલ્યા- ભારત વિરોધી ગતિવિધિઓ ધરાવતા મદરેસા તોડી પડાશે
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે જો સરકારને ભારત વિરોધી ગતિવિધિઓ માટે મદરેસાઓની સંડોવણીના ઇનપુટ્સ મળે છે, તો આવી સંસ્થાઓને તોડી પાડવામાં આવશે. બોંગાઈગાંવ જિલ્લામાં 'જેહાદી' પ્રવૃત્તિઓ માટે કથિત રીતે ઉપયોગ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે જો સરકારને ભારત વિરોધી ગતિવિધિઓ માટે મદરેસાઓની સંડોવણીના ઇનપુટ્સ મળે છે, તો આવી સંસ્થાઓને તોડી પાડવામાં આવશે. બોંગાઈગાંવ જિલ્લામાં 'જેહાદી' પ્રવૃત્તિઓ માટે કથિત રીતે ઉપયોગમાં લેવાતી એક મદરેસાને બુધવારે સત્તાવાળાઓ દ્વારા બિલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તોડી પાડવામાં આવી હતી.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, મદરેસાઓને તોડી પાડવાનો અમારો કોઈ ઈરાદો નથી. તેનો ઉપયોગ જેહાદી તત્વો દ્વારા ન થાય તે જોવાનો જ હેતુ છે. જો અમને કોઈ ચોક્કસ માહિતી મળશે કે સંસ્થાનો ઉપયોગ મદરેસાની આડમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે, તો અમે તેને તોડી પાડીશું.
બુધવારે, આસામના બોંગાઈગાંવ જિલ્લાના કબિતારી ભાગ-4 ગામમાં સ્થિત મરકજુલ મા-આરિફ કુરિયાના મદરેસાને તોડી પાડવામાં આવી હતી. આસામ સરકાર દ્વારા તાજેતરના સમયમાં તોડી પાડવામાં આવેલ આ ત્રીજી મદરેસા છે. હાલમાં જ હિમંતા બિસ્વા સરમા સરકારે આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ઈમામ અને મદરેસાના શિક્ષકો સહિત 37 લોકોની ધરપકડ બાદ કડક કાર્યવાહી કરી છે.
AIUDF પ્રમુખ મૌલાના બદરુદ્દીન અજમલે કહ્યું, "2024ની ચૂંટણી પહેલા મુસ્લિમો અને મદરેસાઓ પર હુમલા વધી ગયા છે... 2024માં સત્તા જાળવી રાખવા માટે ભાજપને મુસ્લિમ મતોની જરૂર છે. તેમના દ્વારા મુસ્લિમો પર હુમલા વધી રહ્યા છે અને તેથી ડરેલા મુસ્લિમો તેમને મત આપશે.
જણાવી દઈએ કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મદરેસાઓને આતંકવાદીઓના ટ્રેનિંગ હબ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેનો ઉપયોગ શિક્ષણને બદલે આતંકી તાલીમ માટે કરવામાં આવે છે. સરમાએ કહ્યું હતું કે, 'અત્યાર સુધી અમે રાજ્યમાં 800 મદરેસાઓને હટાવી દીધા છે પરંતુ હજુ પણ રાજ્યમાં ઘણી ક્વોમી મદરેસાઓ છે. અગાઉ, આસામ સરકારે 2020 માં મદરેસાઓને આપવામાં આવતી ગ્રાન્ટ બંધ કરી દીધી હતી.