મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅંટથી 5 લોકોના મોત, કુલ કેસ વધીને થયા 66
કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅંટે હવે મહારાષ્ટ્રમાં એક નવો ડર પેદા કરી દીધો છે.
મુંબઈઃ કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅંટે હવે મહારાષ્ટ્રમાં એક નવો ડર પેદા કરી દીધો છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅંટના કારણે 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. આમાંથી બે જણના મોત રત્નાગિરી અને એક-એક દર્દીના મોત મુંબઈ, બીડ અને રાયગઢમાં થયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅંટના કારણે જે પાંચ લોકોના જીવ ગયા છે તે બધા 65 વર્ષથી ઉપરની ઉંમરના હતા અને તેમને અમુક બિમારીઓ પણ હતી.
મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે જણાવ્યુ કે મૃતકોમાંથી બે લોકો કોરોના વાયરસ વેક્સીનના બંને ડોઝ લઈ ચૂક્યા હતા જ્યારે બેએ વેક્સીનનો એક-એક ડોઝ લીધો હતો. પાંચમાં મૃતકના વેક્સીનેશનને લઈને કોઈ પૂરતી માહિતી હજુ મળી શકી નથી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં હજુ સુધી કોરોના વાયરસ ડેલ્ટા પ્લસ વેરિઅંટના કુલ 66 કેસ સામે આવી ચૂક્યા છે. આ પહેલા 8 ઓગસ્ટે આ આંકડો 45 હતો અને માત્ર 6 દિવસની અંદર 21 નવા દર્દી મળ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિઅંટના નવા કેસો મુંબઈ, પૂણે અને અમુક અન્ય જિલ્લાઓમાં મળ્યા છે.
ડેલ્ટા પ્લસ વેરિઅંટથી સંક્રમિત 7 દર્દી 18 વર્ષથી નાની વયના
આરોગ્ય વિભાગે જણાવ્યુ કે કોરોના વાયરસ ડેલ્ટા પ્લસ વેરિઅંટના સૌથી વધુ કેસ જલગાંવ જિલ્લામાં મળ્યા છે જ્યાં આ સંખ્યા 13ની છે. ત્યારબાદ રત્નાગિરિમાં 12 અને મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના 11 કેસ સામે આવ્યા છે. 66 કેસોમાંથી 32 દર્દી પુરુષ જ્યારે બાકી મહિલાઓ છે. આમાં સાત દર્દીઓ એવા પણ છે જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે.
દેશમાં અમુક રાજ્યોમાં ફરીથી વધ્યા કોરોના કેસ
તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં દેશમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધ્યા છે. જે પાંચ રાજ્યોમાં કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા વધુ છે તેમાં કેરળ ઉપરાંત મહારાષ્ટ્ર પણ શામેલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે લોકોએ હજુ પણ કોવિડ પ્રોટોકૉલનુ કડકાઈથી પાલન કરવાની જરૂર છે.