Exclusive : મહારાષ્ટ્રમાં મોદી સામે ‘પ્રાંતવાદ’ કચડી ‘રાષ્ટ્રવાદ’ બચાવવાનો પડકાર
અમદાવાદ, 6 ઑક્ટોબર : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેનો સંગ્રામ બરાબરનો જામ્યો છે. કોઈ પણ વિધાનસભાની ચૂંટણીમાં જે મુદ્દાઓ હોય, તેવા જ કે તેનાથી મળતા આવતા મુદ્દાઓ મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં પણ હશે, પરંતુ તે તમામ મુદ્દાઓની ચર્ચા કોણ કરવાનો છે? આવા મુદ્દાઓ તો સામાન્ય મુદ્દાઓ હોય છે. ગઈકાલે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ, ત્યારથી લઈને છેક ચૂંટણી પરિણામ સુધી કોઈ મુદ્દો ચગશે, તો તે હશે નરેન્દ્ર મોદીના જાદૂનો મુદ્દો.
લાગે છે કે નરેન્દ્ર મોદી અને પરીક્ષા એક-બીજાના પર્યાય બની ચુક્યા છે. દરેક બાબતને મોદીના જાદૂ કે મોદીની કસોટી સાથે જોડી દેવાય છે અને જ્યારે મોદી કોઈ પણ કસોટીના એરણે મૂકાય છે, ત્યારે પડકારો આપોઆપ સંઘર્ષમય બની જાય છે. એટલે જ તો મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની યુતિના જીતવાના સો ટકા ચાંસિસ હોવા છતાં આ યુતિ તુટી પડી અને મોદી સામેની કસોટી વધુ કઠણ બની ગઈ.
નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચૂંટણી હોય, તો નરેન્દ્ર મોદીનો જાદૂ સાચે જ કસોટીના એરણે જ કહેવાય. જોકે દેશ આખું અને અનેક રાજકીય વિશ્લેષકો કોઈ પણ ચૂંટણીની જેમ મહારાષ્ટ્રની ચૂંટણીને નરેન્દ્ર મોદી અને તેમના જાદૂની કસોટી ગણાવી રહ્યા છે અને આ કસોટી સામે ભાજપ-શિવસેનાની યુતિ તુટ્યા બાદ પડકારો ઓર મુશ્કેલ બની ગયા છે, પરંતુ હકીકતમાં જોવા જઇએ, તો આ યુતિ તુટ્યા બાદ મહારાષ્ટ્રની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે પોતાનો જાદુ બતાવવાની જ નહીં, પણ મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રીય ક્ષત્રપો અને તેમના પ્રાંતવાદી અહંકારની શાન ઠેકાણે લાવવાની પણ કસોટી છે.
મહારાષ્ટ્ર એટલે કે એવું રાજ્ય કે જ્યાં રહેતા લોકો મરાઠી ગણાય છે. સમયાંતરે મહારાષ્ટ્ર જેવા સંવેદનશીલ રાજ્યમાં મરાઠી કે મરાઠાવાદનો મુદ્દો ઉઠતો રહે છે અને આ વાદના કારણે જ મહારાષ્ટ્રમાં ક્ષેત્રીય ક્ષત્રપો એટલે કે મરાઠા ક્ષત્રપો ઊભા થયા છે. ભલે તેની શરુઆત આપણે બાળા સાહેબ ઠાકરે અને શિવસેના સાથે થયેલી જોઈ હોય, પરંતુ આજે પણ મરાઠાવાદનો વારસો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓએ જાળવી રાખ્યો છે.
તમે સાંભળ્યું હશે કે અનેક વખત એમ કહેવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં મોદીની લહેર નથી. જોકે લોકસભા ચૂંટણી 2014માં આવું બોલનારાઓની બોલતી બંધ થઈ ચુકી છે. આવું કહેનારાઓમાં હવે તો શિવેસનાના નેતાઓ પણ ઉમેરાઈ ગયા છે કે જેઓ એમ માને છે કે મહારાષ્ટ્ર એટલે મરાઠીઓનું રાજ્ય, નહીં કે ભારતીયોનું. કેટલાક નેતાઓ એમ સમજીને આ વાત કહી નાંખે છે કે મહારાષ્ટ્ર એટલે કે મરાઠીઓનું રાજ્ય અને સ્થાનિક પક્ષો જેમ કે શિવસેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ જ જાણે મરાઠીઓનું નેતૃત્વ કરે છે અને બાકીના રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ કે ભાજપ કોઈક બીજા દેશમાંથી આવેલા પક્ષો છે.
હવે જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી મહત્વની ભાજપ-શિવસેના યુતિ તુટી ગઈ છે, ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણી સીધે-સીધી રાષ્ટ્રવાદ વિરુદ્ધ પ્રાંતવાદ બની ગઈ છે. આ યુતિ તુટ્યા બાદથી જ શિવસેના તરફથી જે રીતે નરેન્દ્ર મોદી અને ભાજપ સામે પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તે જોતા સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદ ખતરામાં પડી ગયો છે. નરેન્દ્ર મોદી તો પોતાનો નાતો મહારાષ્ટ્ર સાથે જોડી રહ્યા છે, તેઓ તો શિવાજી મહારાજ સાથે પણ પોતાની લાગણીઓ જોડી રહ્યા છે, પરંતુ શિવસેના અને મનસે તથા તેમના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જે રીતે મોદીના રાષ્ટ્રવાદને પ્રાંતવાદના નામે કચડી નાંખવા મથી રહ્યા છે, તે જોતા લાગે છે કે જો મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા હાસલ કરવામાં નિષ્ફળ નિવડ્યો, તો આ માત્ર ભાજપ કે નરેન્દ્ર મોદીની હાર નહીં ગણાય, બલ્કે રાષ્ટ્રવાદની હાર ગણાશે.
ચાલો તસવીરો સાથે જાણીએ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવાદની રક્ષા કાજે પ્રાંતવાદના કયા-કયા મૂળિયા ઉખાડવા પડશે :
મહારાષ્ટ્રમાં ચૂંટણી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2014 આગામી 15મી ઑક્ટોબરે યોજાવાની છે અને તેના માટેની પ્રચાર ઝુંબેશ જોરદાર રીતે ચાલી રહી છે.
અચાનક પંચકણોયી બન્યો મુકાબલો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા મુખ્ય મુકાબલો ભાજપ-શિવસેના યુતિ અને કોંગ્રેસ-એનસીપી યુતિ વચ્ચે જ હતો, પરંતુ ચૂંટણીની જાહેરાત થયા બાદ સમીકરણો અચાનક બદલાયા. એક બાજુ ભાજપ-શિવેસના યુતિ, તો બીજી બાજુ કોંગ્રેસ-એનસીપી યુતિ તુટી ગઈ. આમ મહારાષ્ટ્રના ચૂંટણી મેદાનમાં હવે પાંચ પક્ષો ભાજપ, શિવસેના, કોંગ્રેસ, એનસીપી અને એમએનએસ વચ્ચે એટલે કે પંચકોણીય મુકાબલો થવાનો છે.
ફરી સળવળ્યો પ્રાંતવાદ
શિવસેના અને તેના જ ગોત્રની એમએનએસનો ઉદય પ્રાંતવાદ પર આધારિત છે. બાળા સાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના જ મરાઠાવાદના નામે કરી હતી અને ભાજપ સાથે યુતિ તુટતા જ શિવસેનાએ ફરી એક વાર પ્રાંતવાદની આગ વહેતી મૂકી છે.
ભાજપનો આધાર નરેન્દ્ર મોદી
ભાજપે શિવસેના સાથેની યુતિ માત્ર કેટલીક બેઠકો ખાતર જો તોડી હોય, તો તેની પાછળનું મોટુ કારણ નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જે રીતે લોકસભા ચૂંટણીમાં સફળતા મળી, તે જ રીતે ભાજપને આશા છે કે મહારાષ્ટ્રમાં પણ મોદીનો જાદૂ ચાલશે અને મોદીના ભરોસે ભાજપ એકલા હાથે બહુમતી હાસલ કરશે.
મોદી મેદાને
નરેન્દ્ર મોદી પણ શિવસેના સાથેની યુતિ તુટ્યાની પરવાહ કર્યા વગર મહારાષ્ટ્રના ચૂંટણી રણમાં ઉતરી પડ્યા છે. શિવસેના સાથેની યુતિ દરમિયાન પણ તેમની સામે પોતાનો જાદૂ જળવાયેલો હોવાનું સાબિત કરવાનો પડકાર હતો જ, પરંતુ હવે તે પડકાર વધુ મોટો બની ગયો છે.
મરાઠાવાદનો સળવળાટ
ભાજપ-શિવસેના અને સાથે-સાથે કોંગ્રેસ-એનસીપીની યુતિઓ તુટતા જ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ફરી એક વાર મરાઠાવાદનો સળવલાટ જાગ્યો છે. શિવસેના, એનસીપી અને એમએનએસ સહિતના સ્થાનિક પક્ષોએ ભાજપ-કોંગ્રેસને નિશાન બનાવી મહારાષ્ટ્ર તથા મરાઠી વિરોધી ગણાવવાનું શરૂ કરી દીધુ છે.
વિજય કરતા મોટો પડકાર
નરેન્દ્ર મોદી સામે હવે મહારાષ્ટ્રમાં માત્ર પોતાનો જાદૂ જળવાયાનો કે ભાજપને વિજય અપાવવાનો જ નહીં, પણ રાષ્ટ્રવાદને બચાવવાનો પણ મોટો પડકાર ઊભો થયો છે. ભાજપના વિજય સાથે જ મોદીએ એ સાબિત કરી આપવું પડશે કે મહારાષ્ટ્રના લોકોમાં પ્રાંતવાદ કરતા રાષ્ટ્રવાદનું સ્થાન ઉંચુ છે.
મોદી આવુ કરી ચુક્યા છે
નરેન્દ્ર મોદી ક્ષેત્રીય ક્ષત્રપોની શાન ઠેકાણે લાવવામાં એમ પણ માહેર ગણાય છે. ગુજરાતથી લઈ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ પણ લોકસભા ચૂંટણીમાં મુલાયમ સિંહ, માયાવતી, જયલલિતા, મમતા બૅનર્જી જેવા પક્ષોની હવા કાઢી ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી હતી.