મહારાષ્ટ્ર રાજકીય સંકટઃ પૂર્વ CM ફડણવીસે કરી ફ્લોર ટેસ્ટની માંગ, રાજ્યપાલ સાથે કરી મુલાકાત
ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાજભવન ખાતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાજભવન ખાતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. આ દરમિયાન ફડણવીસે રાજ્યપાલ પાસે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્યપાલને કહ્યુ કે ઉદ્ધવ સરકાર પાસે વિધાનસભામાં બહુમતી નથી.
રાજ્યપાલને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે અમે રાજ્યપાલને ઈ-મેલ અને સીધો પત્ર આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં શિવસેનાના 39 ધારાસભ્યો છે અને સતત કહી રહ્યા છે કે અમે કોંગ્રેસ, એનસીપીની સરકારમાં રહેવા માંગતા નથી. મતલબ કે 39 ધારાસભ્યો સરકાર સાથે નથી અથવા તો મહા વિકાસ અઘાડીને સમર્થન આપવા માંગતા નથી. તેમના નિવેદનમાં પૂર્વ સીએમએ વધુમાં કહ્યુ કે અમે રાજ્યપાલને કહ્યુ છે કે સરકાર લઘુમતીમાં દેખાય છે તેથી તરત જ સરકારને સૂચના આપવામાં આવે કે મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટ કરાવે અને બહુમત સાબિત કરે.
તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ સરકારમાં મંત્રી એકનાથ શિંદેએ મહા વિકાસ આઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. 42થી વધુ ધારાસભ્યો શિંદે સાથે ગુવાહાટીની હોટલમાં છે. તેમની માંગ છે કે શિવસેના તેનુ ગઠબંધન તોડીને ભાજપ સાથે પાછી આવે.