કોંગ્રેસમુક્ત થવાથી જ દેશનો વિકાસ સંભવ : રાજનાથ સિંહ

પાર્ટી કાર્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજનાથ સિંહે જણાવ્યું કે આઝાદી બાદ લગભગ 54 વર્ષો સુધી કોંગ્રેસે દેશ પર શાસન કર્યું પરંતુ તે દેશનો વિકાસ કરી શકી નહી. આઝાદી મળ્યા બાદ મહાત્મા ગાંધીએ જ કહ્યું હતું કે હવે કોંગ્રેસનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે માટે તેને હવે ભંગ કરી દેવી જોઇએ. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે દેશમાં ગોટાળાઓનું જાણે પૂર આવી ગયું છે.
તેમણે જણાવ્યું કે 'ભ્રષ્ટાચાર, કોલગેટ, રેલગેટ અને ખેલગેટ દ્વારા જોરદાર સરકારી ધન લૂંટવામાં આવ્યું. કોલગેટમાં તો તપાસ પ્રધાનમંત્રી રહેઠાણ સુધી પહોંચી ગઇ છે. હવે સીબીઆઇના અધિકારી પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓ સાથે પૂછપરછ કરી રહ્યા છે. આ બધું સરકારની નિષ્ફળતાનું પરિણામ છે.' રાજનાથે કહ્યું કે દેશના પ્રધાનમંત્રીની અંદર નૈતિકતા નામની કોઇ વસ્તુ જ નથી. દેશ ગંભીર સંકટમાંથી પસાર થઇ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે સરહદો પર આતંકવાદી ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઇ રહી. દેશની અંદર પણ નક્સલવાદની સમસ્યા વધી રહી છે. સરકાર આર્થિક, બાહ્ય અને આંતરીક એટલે કે બધા જ મામલાઓમાં નિષ્ફળ સાબિત થઇ છે. એક સવાલના જવાબમાં રાજનાથ સિંહે જણાવ્યું કે આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપ યુપીમાંથી 40 બેઠકો જીતીને આવશે.
રાજ્યની સપા સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર આતંકવાદી ઘટનાઓના આરોપીઓને છોડીને શું સાબિત કરવા માંગે છે? તેમણે જણાવ્યું કે 'આતંકવાદી ઘટનાઓમાં સામેલ લોકો જો નિર્દોષ હશે તો કોર્ટ જાતે જ તેમને છોડી દેશે. કોર્ટના નિર્ણય પહેલા આવા પ્રકારનું પગલું ભરવું એક સસ્તી રાજનીતિનું ઉદાહરણ છે.'












Click it and Unblock the Notifications
