મમતા બેનર્જીમાં પીએમ બનવાની ક્ષમતા છે-અમર્ત્ય સેન
નોબેલ વિજેતા અર્મત્યસેનનું એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. અર્મત્ય સેને જણાવ્યુ છે કે, મમતા બેનર્જીમાં આગળના પીએમ બનવાની ક્ષમતા છે.
નવી દિલ્હી : 2024 લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીઓ તૈયારી કરી રહી છે ત્યારે હવે નોબેલ વિજેતા અર્મત્યસેનનું એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. અમર્ત્ય સેને જણાવ્યુ છે કે, મમતા બેનર્જીમાં આગળના પીએમ બનવાની ક્ષમતા છે. અમર્ત્ય સેને કહ્યું કે, જો 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને હરાવવું હોય તો વિરોધ પક્ષોએ મમતા બેનર્જીને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રમોટ કરવા જોઈએ.
અમર્ત્ય સેને કહ્યું કે, મમતા બેનર્જી વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે મમતા પાસે પ્રાદેશિક જૂથવાદને ખતમ કરવા સાથે નેતૃત્વ કરવાની ક્ષમતા છે. અહીં અમર્ત્ય સેને બીજેપી પર પ્રહારો કર્યા હતા અને ભારતના વિઝનમાં ભારે ઘટાડો કરવાનો આરોપ લગાવ્યો હતો.
અમર્ત્ય સેને કહ્યું કે, ભાજપે માત્ર હિંદુ ભારત અને હિન્દીભાષી ભારત તરીકે ભારતની સમજને સંકુચિત કરી છે. આ પછી પણ જો આજે દેશમાં ભાજપનો કોઈ વિકલ્પ નથી તો તે દુઃખની વાત છે. તેમણેે આગળ કહ્યું કે, જો જૂની પાર્ટી શક્તિશાળી દેખાઈ રહી છે તો તેની પણ ઘણી નબળાઈઓ છે. આ નબળાઈઓનો ઉપયોગ પ્રાદેશિક પક્ષો કરી શકે છે.
આ પહેલા પણ અમર્ત્ય સેન નિવેદનો આપતા રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે, ડીએમકે સિવાય મમતા બેનર્જીની ટીએમસી પણ મહત્વપૂર્ણ છે. જો કે સમાજવાદી પાર્ટીનું થોડું સ્ટેન્ડ છે પણ તેને વધારી શકાય કે કેમ તે મને ખબર નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ નબળી છે પરંતુ માત્ર સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ જ સમગ્ર દેશને વિઝન બતાવી શકે છે.