'મમતા', 'માન' અને 'મોદી' ત્રણેય ફેક્ટર અપનાવી રહી છે દીદી
લોકસભા ચૂંટણીમાં થયેલા નુક્સાનથી બહાર નીકળવા માટે મમતા બેનર્જીએ પોતાની વ્યુહરચના બદલવાની શરૂઆત કરી દીધી છે.
લોકસભા ચૂંટણીમાં થયેલા નુક્સાનથી બહાર નીકળવા માટે મમતા બેનર્જીએ પોતાની વ્યુહરચના બદલવાની શરૂઆત કરી દીધી છે. લોકોનું દિલ ફરી જીતવા માટે તે હવે એવા બધા જ કામ કરી રહી છે જેથી પશ્ચિમ બંગાળની જનતા તેમના પર પહેલા જેટલો જ ભરોસો મૂકે. રાજ્યમાં તેમનો પહેલો પ્રયત્ન ભાજપનો પ્રસાર રોકવાનો છે. એટલે તે હવે ત્રણ મોરચા પર ધ્યાન આપી રહી છે. પહેલો, તેમણે સરકારી બાબુઓને રિઝવવા માટે તેમને મળતી સુવિધા વધારવાનું શરુ કર્યું છે. બીજું લોકસભા ચૂંટણી સમયથી જ બંગાળ પ્રાઈડને આગળ કરીને મિડલ ક્લાસ બંગાળીઓને પક્ષ સાથે જોડવા પ્રયાસ કરી રહી છે. ત્રીજું તેમનું ધ્યાન તમામ સવર્ણોને પોતાની સાથે લાવવા પર છે. કારણ કે તેમની છબી ફક્ત મુસ્લિમોની ચિંતા કરતા નેતાની બની ચૂકી છે. અથવા તો ભાજપ આવી છબી દર્શાવવામાં સફળ રહ્યું છે. આ ઉપરાંત પણ કેટલાક ફેક્ટર છે, જેના પર તેમણે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.
સરકારી કર્મચારીઓ પ્રત્યે 'મમતા'
ચૂંટમીના પરિણામ આવ્યા અઠવાડિયા બાદ જ ટીએમસીની એક બેઠકમાં નેતાઓએ મમતાનું ધ્યાન આ તરફ ખેંચ્યું હતું. લાખો સરકારી કર્મચારીઓે તેમની સરકારથી નારાજ થઈને ભાજપને વોટ આપ્યા. કારણ કે તે મોટી સંખ્યામાં બાકી રહેલા ડીએને કારણે સરકારથી નારાજ હતા. ધ પ્રિન્ટના અહેવાલ પ્રમાણે TMCના એક વરિષ્ઠ નેતાએ પોતે માન્યું હતું કે,'સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારના ઓછામાં ઓછા 70 લાખ વોટ ભાજપને ગયા છે.' ટીએમસીના નેતાનું કહેવું છે કે,'ભલે પાર્ટીનો વોટ શૅર વધ્યો હોય, પરંતુ મોટી સંખ્યામાં એન્ટી ઈન્કમબન્સી મતદારો માટે મહત્વની છે.' આ જ બેઠકમાં ટીએમસીના નેતાઓએ સીએમને એ પણ માહિતી આપી કે પોલીસ પણ હવે પહેલાની જેમ તેમની વાત નથી માની રહી. ખાસ કરીને નાના વિસ્તારોમાં પોલીસ સ્થાનિક નેતાઓની વાત પર ધ્યાન નથી આપતી. અહીં જ દીદીને લાઈટ થઈ અને તેમણે રાજ્યમાં પોલીસનું બોનસ તાત્કાલિક વધારવા આદેશ આપ્યો. 1988ના નિયમ પ્રમાણે બંગાળમાં ડીએસપીથી નીચેના પોલીસ કર્મચારીઓને દર વર્ષે 30 દિવસનું બોનસ આપવાની વ્યવસ્થા છે. 28 જૂને આ મર્યાદા વધારીને 52 દિવસ કરવામાં આવી. સીએમના આ નિર્ણયથી રાજ્ય સરકાર પર 232 કરોડનો બોજ વધ્યો છે. પરંતુ દીદીનું ધ્યાન તો સરકારી કર્મચારીઓની નારાજગી દૂર કરવા પર છે.
બંગાળની 'માન મર્યાદા' પ્રાથમિક્તા
બંગાળમાં દીદી ભાજપના હિન્દુત્વવાદી ફોર્મ્યુલાને કાઉન્ટર કરવા માટે બંગાળની માન મર્યાદાનું કાર્ડ રમી રહ્યા છે. તૃણમુલના એક નેતાના કહેવા પ્રમાણે,' આપણે જાણીએ છેીએ કે બંગાળના લોકોને બંગાળની સંસ્કૃતિ ખૂબ ગમે છે. અને હિન્દી હાર્ટલેન્ડ વાળા રાજ્યોના હિન્દી ભાષી નેતાઓનું ગ્રુપ તેને સમાપ્ત કરવા ઈચ્છે છે.' તેમણે કહ્યું કે તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે તે બંગાળી સમાજ સાથે નથી જોડાયેલા. શક્ય છે કે તેમનો ઈશારો પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રભારી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય તરફ હોય. એટલું જ નહીં મમતાના ઈશારે પશ્ચિમ બંગાળમાં મહાપુરુષોના મોટા મોટા પોસ્ટર લગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેના પર ભાજપના જય શ્રી રામના સૂત્ર સામે હવે જય હિંદ, જય બાંગ્લા લખેલું દેખાઈ રહ્યું છે. જ્યારથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડવામાં આવી ત્યારથી ટીએમસી બંગાળી અસ્મિતા પર ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત સરકાર સ્કૂલોમાં પણ બંગાળી ભાષા ફરજિયાત કરાવી ચૂકી છે.
'મોદી કોટા' પર યુ ટર્ન
લોકસભા ચૂંટણી પહેલા જ્યારે મોદી સરકારે સામાન્ય વર્ગના ગરીોબને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની વ્યવસ્થા કરી તો મમતાએ પશ્ચિમ બંગાળમાં તે લાગુ કરવાની ના પાડી દીધી. પરંતુ હવે તે આવી જોગવાઈ પણ રાજ્યમાં લાગુ કરી રહી છે. હકીકતમાં તો ટીએમસીને માહિતી મળી છે કે સવર્ણ ગરીબોને અનામત ન આપવાનો નિર્ણય જ પક્ષને લોકસભા ચૂંટણીમાં ભારે પડ્યો છે. શરૂઆતમાં મમતાએ તેના બંધારણીય દરજ્જા પર સવાલ ઉભા કર્યા હતા, પરંતુ હવે તેને પશ્ચિમ બંગાળમાં લાગુ કરવાનો વટ હુકમ બહાર પડાયો છે.
વેલફેર સ્કીમની પણ ચિંતા
લોકસભા ચૂંટણીમાં ભાજપના પડકાર બાદ મમતા સરકારે રાજ્યમા વેલફેર સ્કીમનો પૂરો લાભ જરૂરિયાતમંદોને પહોંચાડવા કમર કસી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન મોદી અને શાહે મમતા સરકાર પર સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. હવે એવી કલ્યાણકારી યોજનાઓને લાગુ કરવામાં અને ફરિયાદોનો નિકાલ લાવવા માટે સીએમ ઓફિસમાં જ એક સેલ શરૂ કરાયો છે, જ્યાં લોકો કોઈ પણ પ્રકારની અનિયમિતતાની ફરિયાદ ટોલ ફ્રી નંબર પર લખાવી શકે છે. એટલું જ નહી મોદી અને શાહના રાજકીય દબાણની જઅસર છે કે મમતા બેનર્જીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ મોટા નેતાઓને કટ મનીના નામે લૂંટેલી રકમ પાછી આપવા કહ્યું છે.
લોકો સાથે કનેક્ટ થવાની કોશિશ
લાગે છે કે મમતા બેનર્જીને હવે ખ્યાલ આવ્યો છે કે સાત વર્ષની તેમની સરકાર લોકોથી વિખુટી ન પડી હોત તો લોકો પણ તેમનાથી દૂર ન ગયા હોત. એટલે જ તે નીતિશકુમારના સહયોગી અને જાણીતા રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરને પશ્ચિમ બંગાળ લઈ ગઈ છે. તેમણે સીએમને 2021ની ચૂંટણી પહેલા લોકો સાથે કેવી રીતે જોડાવું તેનો મંત્ર પણ આપી દીધો છે. એટલે જ કદાચ દીદી હવે પોકાના કેડરોને હિંસક ઘટનાઓથી દૂર રહેવા માટે કહી ચૂકી છે. જનતા સાથે જોડાવા માટે તેમણે બીજા પણ પગલાં લીધા છે. આ જ કડીમાં તેમણે કલકત્તાના મેયર ફિરહદ હકીને સપ્તાહમાં એકવાર જનતાની સમસ્યાને સાંભળવા અને સમાધાન આપવા હુકમ કર્યો છે. કોલકાતા નગર નિગમે 1 જુલાઈથી ટોક ટુ મેયર નામે એક ટોલ ફ્રી સેવા પણ શરૂ કરી છે, જેના પર લોકો દર બુધવારે સીધા જમેયરને ફરિયાદ કરી શકે ચે. સીએમે લોકોનો મૂડ જાણવા માટે જાતે પણ જનસંપર્ક કાર્યક્રમ શરૂ કર્યો છે. 12 જુલાઈએ સેવ વોટર ડેના સરકારી કાર્યક્રમ એ જ રણનીતિનો ભાગ હતો.
2021 પર ધ્યાન આપી રહી છે દીદી
તૃણમુલ નેતા મમતા બેનર્જીનું હ્રદય પરિવર્તન લોકસભા ચૂંટણીના પરિણામના વિશ્લેષણ બાદ થયું છે. જેમાં 42માંથી ભાજપે 18 બેઠકો જીતી છે. આદિવાસી વિસ્તારો અને ઉત્તર બંગાલમાં ટીએમસીનો સફાયો કરી તેમને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. જંગલ મહલમાં તો ભાજપે તમામ 5 બેઠકો જીતી છે. તો ઉત્તર બંગાળમાં 8માંથી 7 બેઠકો જીતી છે, જ્યારે 1 કોંગ્રેસને મળી છે. હજી 2016ની વિધાનસભા ચૂંટણીમાં 294માંથી 211 બેઠકો ટીએમસી જીતી હતી અને 2018માં વિવાદિત પંચાયત ચૂંટણીમાં પણ સરકારનો જ સિક્કો ચાલ્યો હતો.