મોદીના મંચ પર પિસ્તોલ સાથે ઝડપાયો કાર્યકર્તા
ભોપાલ, 25 સપ્ટેમ્બર: મધ્યપ્રદેશમાં થઇ રહેલી ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભના સભાસ્થળ પર મંચની પાછળ એક કાર્યકર્તાને પિસ્તોલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ચંબલ ગ્લાલિયર વિસ્તારનો આ કાર્યકર્તા પિસ્તોલ લઇને મંચની પાછળ ત્યાં સુધી જતો રહ્યો હતો જ્યાં નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી આવવાના હતા.
પોલીસે આ વાતની પુષ્ટિ કરી હતી. તેને સુરક્ષા તપાસમાં ગંભીર ચૂક માનવામાં આવે છે. આ વ્યક્તિની પાસે કાર્યકર્તાનો બેજ લાગેલો હતો. આ ઘટના બાદ પોલીસે સુરક્ષા તપાસની પ્રક્રિયા વધુ કડક કરી દિધી હતી.
ભાજપ આ સમારોહમાં લગભગ સાત લાખ કાર્યકર્તાઓ આવવાનું અનુમાન લગાવી રહી છે. બપોરે 12 વાગ્યા સુધી લગભગ ત્રણ લાખ લોકો જંબૂરી મેદાન પર પહોંચવાનો દાવો કરવામાં આવતો હતો. નરેન્દ્ર મોદી અમદાવાદથી લગભગ એક વાગ્યા સુધી પહોંચે તેવું અનુમાન હતું. બૉલીવુડ ગાયક રૂપસિંહ રાઠોડ મંચ પર હાજર હતા અને પોતાની ટીમની સાથે ગીત-સંગીતનો કાર્યક્રમ આપી રહ્યાં હતા.
સભામંડપની ચારેય તરફ શિવરાજ સિંહ ચૌહાણના બેનર લાગેલા જોવા મળતા હતા. કાર્યકર્તાઓ જે મુખોટા પહેરીને આવ્યા હતા તેમાં પણ શિવરાજ સિંહ ચૌહાણના જ મુખોટા સૌથી વધુ હતા.
જન આર્શિવાદ યોજનામાં પણ નરેન્દ્ર મોદીને દૂર રાખવામાં આવ્યા હતા. પોતાની ઉદાર છબિને યથાવત રાખવા માટે શિવરાજ સિંહ ચૌહાણે અહીં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારોને લાવવાનો પ્રયત્ન આ સભામાં કર્યો છે. પરંતુ અત્યાર સુધી ત્યાં કોઇ બુરખો કે ટોપી જોવા મળી ન હતી.