નવી દિલ્હી, 21 માર્ચઃ દિલ્હીની સત્તાએથી લાંબા સમય સુધી બહાર રહ્યાનું દર્દ મેનકા ગાંધીના દિલમાં એ રીતે ફૂટ્યું છે કે તે પોતાની જેઠાણી પર શાબ્દિક હુમલો કરતા પોતાને રોકી શક્યા નહીં. આ વખતે પીલીભીતથી મેદાનમાં ઉતરેલા મેનકા ગાંધીએ પોતાની જેઠાણી સોનિયા પર હુમલો કરવામાં કોઇ પરેજી રાખી નથી. પીલીભીતની એક સભામાં મેનકાએ સોનિયા ગાંધી પર જોરદાર હુમલો કર્યો અને કહ્યું કે, સોનિયા ગાંધી બહારથી આવ્યા છે, તેમ છતાં દેશે તેમને ઘણો પ્રેમ કર્યો.
નોંધનીય વાત એ છે કે, મેનકા ગાંધીએ સોનિયાને લઇને અત્યારસુધી કોઇ ખાસ આક્રમક વલણ અપનાવ્યું નહોતું, પરંતુ આ વખતે વાત અલગ છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષા વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. જ્યારે મેનકાના પુત્ર વરુણ ગાંધીએ તાજેતરમાં સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ચૂંટણી લડશે પરંતુ પ્રચાર દરમિયાન પોતાના પિતરાઇ ભાઇ રાહુલ ગાંધી અંગે કંઇજ નહીં બોલે. આ વાતથી એ તો સ્પષ્ટ થયું કે પિતરાઇ ભાઇમાં તો પ્રેમ છે, પરંતુ દેરાણી જેઠાણીએ એકબીજા સામે તલવાર ખેંચેલી છે.