દિલ્હી સરકારના મંત્રીમંડળમાંથી મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને આપ્યુ રાજીનામુ
સીએમ કેજરીવાલે કેબિનેટમાંથી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું સ્વીકારી લીધું છે.
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ હેઠળ ધરપકડ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય સત્યેન્દ્ર જૈને પણ કેબિનેટમાં પોતાના પદ પરથી રાજીનામું દિલ્હી સરકારને મોકલી દીધું છે. બંને નેતાઓનું રાજીનામું સીએમ અરવિંદ કેજરીવાલે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી સરકારના કેબિનેટમાંથી મનીષ સિસોદિયાના રાજીનામા બાદ સરકારના કુલ 33 પોર્ટફોલિયોમાંથી 18 ખાલી થઈ ગયા છે. મનીષ સિસોદિયા પાસે 7 મહત્વના પોર્ટફોલિયો હતા. જેમાં શિક્ષણ, જાહેર બાંધકામ, નાણા, આબકારી, ઉર્જા, પાણી, આરોગ્ય જેવા મહત્વના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનીષ સિસોદિયાના રાજીનામાની સાથે જ મની લોન્ડરિંગના આરોપમાં 9 મહિનાથી તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે. આ પહેલા સિસોદિયા પોતાના પોર્ટફોલિયોની સાથે સત્યેન્દ્ર જૈનનો વિભાગ સંભાળતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના રાજીનામા બાદ હાલ કોઈ નવા મંત્રી શપથ લેશે નહીં. સિસોદિયાનો પોર્ટફોલિયો દિલ્હીના કેબિનેટ મંત્રીઓ કૈલાશ ગેહલોત અને રાજ કુમાર આનંદને આપવામાં આવી શકે છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ બાદ મનીષ સિસોદિયા 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર છે. મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી હતી. જ્યારે દિલ્હી સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન 9 મહિનાથી તિહાર જેલમાં છે. તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં અપ્રમાણસર સંપત્તિ હોવાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
