મનીષ સિસોદિયાએ જામીન માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, ગુરૂવારે સૂનાવણી થશે
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા છે. છેલ્લા 40 દિવસથી જેલમાં બંધ મનીષ સિસોદિયા આ પહેલા નીચલી અદાલતમાં જામીન માટે અરજી કરી ચુક્યા છે. જો કે અહીંથી તેમને જામીન મળ્યા નથી.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની કસ્ટડીમાં છે. નીચલી કોર્ટે આ કેસમાં તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. નીચલી અદાલતના આદેશને પડકારતાં સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મનીષ સિસોદિયાની અપીલ પર 6 એપ્રિલે સુનાવણી થવાની છે.
અહીં તમને જણાવી દઈએ કે, જામીન માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચેલા સિસોદિયાની અરજી પર જસ્ટિસ દિનેશ કુમાર શર્માની બેંચ સુનાવણી કરશે. સિસોદિયા પર એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાના આરોપ છે. સીબીઆઈ તેની તપાસ કરી રહી છે. ગયા અઠવાડિયે ટ્રાયલ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, તપાસના આ તબક્કે કોર્ટ આરોપીને જામીન પર છોડવા ઈચ્છતી નથી. મુક્તિ કેસ માટે પ્રતિકૂળ હશે. તપાસમાં ગંભીર અવરોધ આવશે.
જામીન અરજી ફગાવતા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કહ્યું કે, સિસોદિયા સામેના આરોપો ગંભીર છે. કેસના આ તબક્કે આરોપી જામીન પર મુક્ત થવાને લાયક નથી. ધરપકડ 26 ફેબ્રુઆરીએ જ થઈ છે. તેમની ભૂમિકાની તપાસ પૂર્ણ નથી થઈ.
સીબીઆઈનો આરોપ છે કે, સિસોદિયાએ ગુનાહિત ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સિસોદિયા ષડયંત્રના ઉદ્દેશ્યને હાંસલ કરવા નીતિના ઘડતર અને અમલીકરણમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા. આરોપ છે કે દિલ્હી સરકારમાં સિસોદિયા અને તેના અન્ય સહયોગીઓને આશરે 90-100 કરોડ રૂપિયાની એડવાન્સ લાંચ આપવામાં આવી. જેમાં સહ આરોપી વિજય નાયર, અભિષેક બોઈનપલ્લીને 20 થી 30 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
