મનમોહન સિંહ નથી દેશના કે નથી પાર્ટીના નેતા : સુષ્મા સ્વરાજ
સુષ્મા સ્વરાજે જણાવ્યું કે "કોંગ્રેસે પોતાની રણનીતિ ઘડી છે કે યુપીએ સરકાર મોંઘવારી વધારે છે, સામે પાર્ટી દ્વારા વિરોધ કરાવી રૂપિયા 4ના વધારા સામે એક રૂપિયો ઘટાડીને નાગરિકોને ભરમાવે છે. આમ થોડી રાહત આપીને સમગ્ર શ્રેય કોંગ્રેસ પાર્ટી લઇ જાય છે. જેના કારણે દેશમાં મોંઘવારી તેની ચરમસીમાએ છે અને જનતા તેનાથી ત્રાસી ગઇ છે."
સુષ્મા સ્વરાજે દેશની અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થા ચિંતાજનક છે. તેમણે જણાવ્યું કે યુપીએ 2 સરકારે દેશમાં કૌભાંડો કરવામાં હદ પાર કરી દીધી છે. દરેક કૌભાંડ અગાઉના કૌભાંડ કરતા મોટી રકમવાળું હોય છે.
તેમણે યુપીએ 2 સરકારના 22 મેના રોજ ચાર વર્ષ પૂરા થવાના અવસરે આ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે સમજમાં નથી આવતું કે યુપીએ 2ની સરકાર કઇ વાતનો ઉત્સવ મનાવી રહી છે. ભાજપના નેતાઓએ જણાવ્યું કે દેશના કોઇપણ રાજ્યમાં મહિલાઓ એટલી અસુરક્ષિત નથી જેટલી દેશની કોંગ્રેસ શાસિત રાજધાની દિલ્હીમાં છે. સુષ્માએ જણાવ્યું કે સરકાર વિદેશી બાબતોના મામલે પણ નિષ્ફળ રહી છે.
આ જ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ભાજપના અગ્રણી નેતા અરૂણ જેટલીએ જણાવ્યું કે સરકાર અહંકારમાં ડૂબેલી છે. કોંગ્રેસ અને યુપીએ સરકાર પરથી દેશની જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન આજે મજાકનું પાત્ર બની ગયા છે. દેશની જનતાને લાગતું જ નથી કે કોઇ પીએમ જેવી વ્યક્તિ પણ છે. જેટલીએ જણાવ્યું કે પીએમનું પદ આટલું નાના કદનું ક્યારેય નથી રહ્યું. તેમણે જણાવ્યું કે સરકારે સીબીઆઇના દુરુપયોગ પર ચાર વર્ષ પૂરા કર્યા છે.