યુપીમાં 'બહેનજી'ની કારમી હાર, પંજાબ અને ઉત્તરાખંડમાં હાર, અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યુ છે બસપા
બધા ચૂંટણી પરિણામો વચ્ચે બહુજન સમાજવાદી પાર્ટી માટે આ પરિણામ ચોંકાવનારુ છે.
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. 5 રાજ્યોમાંથી 4 પર ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. વળી, પંજાબ કોંગ્રેસના હાથમાંથી નીકળીને આમ આદમી પાર્ટીના હાથમાં પહોંચી ગયુ છે. આ બધા ચૂંટણી પરિણામો વચ્ચે બહુજન સમાજવાદી પાર્ટી માટે આ પરિણામ ચોંકાવનારુ છે. બસપા પ્રમુખ માયાવતી માટે હવે આ અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. સમાચાર લખાવા સુધી માયાવતીની પાર્ટી બસપા ઉત્તર પ્રદેશમાં 1 સીટ પર, પંજાબમાં શૂન્ય સીટો પર અને ઉત્તરાખંડમાં 2 સીટો પર આગળ ચાલી રહી છે.
2017ના પરિણામો સાથે સરખામણી કરીએ તો આ ચૂંટણી પરિણામો માયાવતીની પાર્ટીના અસ્તિત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે. 2017માં પાર્ટીએ જ્યાં 19 સીટો પર જીત મેળવી હતી ત્યાં બસપાને 22.3 ટકા વોટશેર મળ્યા હતા પરંતુ આ વખતે પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા 2007માં બસપાને 206 સીટો જીતીને સરકાર બનાવી હતી. જ્યારે 2012માં બસપાના ખાતામાં 80 સીટો આવી હતી. હવે એ પાર્ટી 2022માં 2 સીટો પર સમેટાઈ ગઈ છે. વર્ષોવર્ષ પાર્ટીની સીટો ઘટવા સાથે-સાથે માયાવતીની પાર્ટીના અસ્તિત્વ પર જોખમ મંડરાઈ રહ્યુ છે.
યુપી ઉપરાંત પંજાબમાં બસપા પોતાનુ ખાતુ પણ ખોલાવી શકી નથી. વળી, ઉત્તરાખંડમાં પાર્ટી માટે થોડી આશા બચી છે. વર્ષ 2017માં ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી બસપાને 6.99 ટકા વોટ શેર મળ્યા હતા. રાજકીય જાણકારોનુ માનીએ તો ભાજપ અને સપાની ટક્કરમાં બહુજન સમાજ પાર્ટીના સૂપડા સાફ થઈ ગયા અને પાર્ટી ચોથા નંબરે પહોંચી ગઈ છે. બસપાના ખરાબ પ્રદર્શનના કારણે ક્યારેક સરકાર બનાવનાર માયાવતી હવે કોંગ્રેસથી પણ પાછળ થઈ ગઈ છે.