રાજસ્થાનમાં લાગુ કરાશે મોદીની ફૉર્મ્યુલા : વસુંધરા
ગાંધીનગર, 3 સપ્ટેમ્બર : રાજસ્થાન ભાજપના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આજે ગાંધીનગર ખાતે ભાજપ ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ લગભગ એક કલાક સુધી ચર્ચા-વિચારણ કરી. કહે છે કે બેઠક દરમિયાન વસુંધરાએ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી વિજય ફૉર્મ્યુલા અંગે માહિતી મેળવી.
મળતી માહિતી મુજબ જયપુર ખાતે આગામી 10મી સપ્ટેમ્બરે યોજાનાર ભાજપની રેલી માટે આમંત્રણ આપવાના ઉદ્દેશ સાથે વસુંધરા રાજે આજે ગાંધીનગર પહોંચ્યાં. તેઓ ઍરપોર્ટથી સીધા ગાંધીનગર આવ્યાં અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. બંને નેતાઓએ લગભગ એક કલાક સુધી મંત્રણા કરી. બેઠક દરમિયાન વસુંધરા રાજેએ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં વિજય અંગે માહિતી મેળવી.
વસુંધરા રાજેએ જણાવ્યું કે રાજસ્થાનમાં પણ ચાલુ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ફૉર્મ્યુલા ઉપર અમલ કરવામાં આવશે. વસુંધરા ગુજરાતમાં નરેન્દ્ર મોદીની બૂથ લેવલની વ્યુહરચનાથી ખૂબ જ પ્રભાવિત થયાં. બંને નેતાઓએ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને ઉખેડી ફેંકવા અંગે પણ ચર્ચા-વિચારણા કરી.